કોરોનાને લઇને હોળી-ધુળેટીના તહેવારોમાં દ્વારકા સહિતના મંદિરો બંધ રાખ્યા છે. જ્યારે શિવરાજપુર બિચ અને SoU ખુલ્લુ રહેશે. ત્યારે સરકારના આ નિર્ણયથી લોકોમાં રોષ જોવા મળ્યો છે.
સરકારના બેવડા ધોરણો સામે લોકોમાં રોષ
હોળી-ધુળેટીમાં દ્વારકા મંદિર બંધ પરંતુ શિવરાજપુર બિચ રહેશે ખુલ્લો
હોળી-ધુળેટીના તહેવારો પર પ્રતિબંધ પરંતુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લુ રહેશે
ધુળેટીને લઈને સરકારના બેવડા ધોરણો સામે આવ્યા છે. એક બાજુ સરકારે હોળી, ધુળેટી રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શિવરાજ પુર બિચ ખુલ્લો રાખવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય વધારાયો, ધુળેટી પર પ્રતિબંધ મુકાયો, હોળી મર્યાદિત સંખ્યામાં ઉજવવાનો નિર્ણય કરાયો, મહાનગરો અને જિલ્લાઓમાં બાગ-બગીચા, સીટી બસો, AMTS અને BRTS, રિવરફ્રન્ટ, અમદાવાદનું મેમનગરનું સ્વામિનારાયણ મંત્રી, મોડાસાનું સુપ્રસિદ્ધ સિદ્ધ વિનાયક મંદિર સહિતના કેટલાક મંદિરો બંધ કરાયા, તો BAPS, VYO શ્રીનાથધામ હવેલી, ઇસ્કોન મંદિર દ્વારા હોળી-ધુળેટીનો કાર્યક્રમ ન ઉજવવાની કરી જાહેરાત આવા અનેક નિર્ણયો સરકાર, સ્થાનિક તંત્ર અને સ્વૈચ્છીક લેવાયા છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને અને ભીડ એકઠ ન થાય તે માટે આ પ્રકારના નિર્ણયો લેવાયા છે. પરંતુ સરકાર દ્વારા હજુ પણ ક્યાંક બેદરકારી દાખવાતી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં હોળી-ધુળેટીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને શિવરાજપુર બિચ ખુલ્લો રાખવાનો નિર્ણય ક્યાંકને ક્યાંક ગંભીર બેદરકારી હોવાનું જણાઇ રહ્યું છે.
દ્વારકા મંદિર બંધ રાખીને શિવરાજપુર બીચ ખુલ્લો રખાતા લોકોમાં રોષ
દ્વારકા તંત્ર અને સરકારના અણઘડ નિર્ણયો સામે લોકોમાં કચવાટ શરૂ થઇ ગયો છે. તંત્રએ મંદિર બંધ રાખીને શિવરાજપુર બીચ ખુલ્લો રાખતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દ્વારકા મંદિરમાં હોળી ફુલડોલ ઉત્સવ બંધ રખાયો છે. તંત્રએ મંદિર બંધ કરી શિવરાજપુર બીચ ખુલ્લો રખાતા વિરોધના સૂર ઉઠ્યા છે. ભક્તો પણ તંત્રના નિર્ણયને વખોડી રહ્યાં છે. તેમજ શિવરાજપુરના સામાજિક કાર્યકરે પણ તંત્રની સામે સવાલ ઉઠાવ્યા છે. મહત્વનું છે કે, દ્વારકાધીશ જગતમંદિર 27મી માર્ચથી 29મી સુધી ભાવિકો માટે બંધ કરાયું છે.
એક તરફ તહેવારો પર રોક બીજી તરફ ધુળેટીના દિવસે SOU ખુલ્લું રહેશે
ધુળેટીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખુલ્લુ રાખવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તેને લઈને ઓનલાઈન ટિકિટ નોંધાવનારાની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે એક બાજુ કોરોનાના વધતા સંક્રમણને પગલે સરકાર લોકોના ભેગા થવા પર, તહેવારો ઉજવવા પર રોક લગાવી રહી છે રાત્રિ કફર્યુ લગાવી રહી છે ત્યારે બીજી બાજુ તહેવારના દિવસે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવુ પ્રવાસન સ્થળને ખુલ્લુ રાખી પ્રવાસનને વેગ આપતી હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે. સરકારના આ નિર્ણયથી નર્મદા જિલ્લાના લોકોને કોરોના સંક્રમણનું જોખમ વધી જવાનો ભય સતાવી રહ્યો છે.
મહત્વનું છે કે, સામાન્ય રીતે મેઇન્ટેનન્સના કાર્યને લઈને દર સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ રાખવામાં આવે છે. પરંતુ સોમવારના ધૂળેટીનો તહેવાર હોવાથી મોટા સંખ્યામાં પ્રવાસીઓ આવે તેવી શક્યતા છે. આથી હોળી-ધૂળેટીના તહેવારમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લુ રહેશે.
કોરોના સંક્રમણને લઈને પોળો ફોરેસ્ટ બંધ
કોરોના સંક્રમણ ન ફેલાય તે પોળો ફોરેસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. હોળી-ધૂળેટીમાં મુલાકાતીઓ વધવાની શક્યતાને પગલે નિર્ણય લેવાયો છે. એપ્રિલ મહિનાના અંત સુધી પોળો ફોરેસ્ટ બંધ રહેશે. 27 માર્ચથી 4 એપ્રિલ સુધી પોળો ફોરેસ્ટ બંધ રહેશે. એપ્રિલની 10,11,13,14,17,18,21,24,25 તારીખે પણ પોળો ફોરેસ્ટ બંધ રહેશે. તહેવારો અને જાહેર રજાઓમાં લોકોના ઘસારાને જોતા નિર્ણય લેવાયો છે.
ગુજરાતમાં કોરોનાના કેટલા કેસ?
ગુજરાતમાં કોરોનાનો મહાવિસ્ફોટ જોવા મળ્યો. રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા પોઝિટિવ કેસ 1640 કેસ નોંધાયા છે. આ પહેલા 26મી નવેમ્બરે સૌથી વધુ કેસ 1607 કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં હવે એક્ટિવ કેસની સંખ્યા 7 હજાર 847 છે. તો 24 કલાકમાં 4 દર્દીના મૃત્યુ થતાં મૃત્યુઆંક વધીને 4454 થયો છે. જ્યારે આજે એક જ દિવસમાં સ્વસ્થ થનારા દર્દીની સંખ્યા 1110 છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સ્વસ્થ થનારા દર્દીની સંખ્યા 2 લાખ 76 હજાર 348 થઇ છે. વાત મહાનગરોની કરીએ તો, અમદાવાદમાં 24 કલાકમાં નવા 483 કેસ નોંધાયા છે. સુરતમાં 483, વડોદરા શહેરમાં 139 અને ગ્રામ્યમાં 20,રાજકોટમાં 126 અને ગ્રામ્યમાં 26 કેસ નોંધાયા છે. કોરોનાના વધતા કેસની સાથે રાજ્યમાં કુલ 73 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં એક માત્ર પોરબંદર જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નથી નોંધાયો. આ સિવાય રાજ્યના તમામ જિલ્લામાં કોરોના ફરી ઘાતકી રીતે પ્રસરી રહ્યો છે.
દેશમાં કોરોનાના કેટલા કેસ?
દેશભરમાં કોરોનાએ ફરી એકવાર માથુ ઉચક્યું છે. છેલ્લા 7 દિવસમાં દેશમાં 2.60 લાખથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસે સપ્ટેમ્બરનો રેકોર્ડ તોડ્યો છે. મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બર મહિનામાં કોરોનાના 22 હજાર 149 કેસ નોંધાયા હતા. જ્યારે માર્ચ 2021માં મહારાષ્ટ્રમાં 23 હજાર 610 કેસ નોંધાયાછે. આ જ રીતે પંજાબ, ગુજરાત, ચંદીગઢ સહિત અનેક શહેરોમાં જોવા મળ્યું છે. જ્યાં સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં નોંધાયેલા કેસ સુધી ફરી એકવાર માર્ચ મહિનામાં કોરોનાના કેસ પહોંચી ગયા છે.