ગૃહપ્રધાન અમિત શાહ આજે રાતે ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતની 6 બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે હજુ સુધી ભાજપે એકપણ ઉમેદવારનું નામ જાહેર કર્યુ નથી અને ફોર્મ પણ ભર્યુ નથી ત્યારે કાલે છેલ્લી તારીખ છે તો હાઈકમાન્ડની મહોર બાદ જ નામ જાહેર થાય તેવી શક્યતા છે.
અમિત શાહની ગુજરાત મુલાકાત આ વખતે એક કાંકરે બે નહીં પણ ઘણા પક્ષી મારનારી સાબિત થવાની છે. તેઓ આજે રાતે ગુજરાત આવી રહ્યા છે ત્યારે રાજ્યમાં છ બેઠક ઉપર યોજાનાર પેટાચૂંટણીના કોકડુ ઉકેલવા આવતા હોવાનું પણ અંદરખાને ચર્ચાઈ રહ્યુ છે. વળી તેઓ દર વર્ષની જેમ પોતાના વતનમાં મા જગદમ્બાના શરણે શીશ ઝુકાવા પણ આવી રહ્યા છે અને ગુજરાત મોડેલ ઉપર હાઈકમાન્ડનો હોલ્ડ પણ જાળવી રાખવો જરૂરી હોવાને કારણે અમિત શાહની આ મુલાકાત રાજકિય મુલાકાત જ હોવાની પણ ગુસપુસ થઈ રહી છે.
સહપરિવાર માણસામાં આરતી કરશે
નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે પહેલા નોરતે જ અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. કેન્દ્રિય મંત્રી અમિત શાહ દરસાલ પોતાના વતન માણસામાં નવરાત્રીમાં માતાને શરણે આવીને સહપરિવાર આરતી કરે છે આ વખતે પણ તે સોમવારે માણસામાં નવરાત્રી નિમિત્તે આરતી કરશે.
શું હશે કાર્યક્રમ
સોમવારે સવારે અમદાવાદ વસ્ત્રાલ રીંગ રોડ પરના રેપિડ એકશન ફોર્સ (RAF)ના 27માં સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. બપોરે સાબરમતીમાં વાડજના કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. માણસામાં જગદમ્બાની આરતી કરશે. રાજકિય બેઠક તો ખરી જ.