કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોંગ્રેસ અને તમિલનાડુના DMK પક્ષ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે તેમને ન તો દેશની ચિંતા છે કે ન તો તમિલનાડુની.
અમિત શાહના આક્રમક પ્રહાર
ગૃહમંત્રીએ ગજવી ચૂંટણીસભા
તામિલનાડુમાં રેલીને સંબોધિત કરી
ચૂંટણી પંચ દ્વારા દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીને લઈને તારીખોની જાહેરાત કર્યા પછી હવે આ દરેક રાજ્યોમાં રાજકીય ગતિવિધીઓ તીવ્ર થઈ ગઈ છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તામિલનાડુના પ્રવાસે હતા, અને એક ચૂંટણી સભાને સંબોધી રહ્યા હતા, જેમાં તેમણે વિપક્ષી કોંગ્રેસ પાર્ટી અને DMK પક્ષ પર પ્રહારો કર્યા હતા, મહત્વનું છે કે ભાજપ તમિલનાડુમાં AIADMK સાથે ગઠબંધન ધરાવે છે અને આ ગઠબંધન હાલમાં રાજ્યમાં સત્તા પર છે. જ્યારે કે DMK અને કોંગ્રેસ પણ ગઠબંધન કરીને મેદાનમાં ઉતર્યા છે.
કોંગ્રેસ- DMK પરિવારવાદમાં વિશ્વાસ ધરાવે છે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે તમિલનાડુના વિલિપુરમમાં વિજય સંકલ્પ રેલીને સંબોધન કર્યું હતું, અને કહ્યું હતું કે આવનારી ચૂંટણીમાં એક બાજુ ભાજપ અને AIADMKનું ગઠબંધન છે જે રાજ્યમાં રામચંદ્રન, જયલલિતા અને ભાજપના સિદ્ધાંતો લાગૂ કરશે, જ્યારે કે સામે DMK-કોંગ્રેસનું ગઠબંધન છે જે વંશવાદ પરંપરામાં વિશ્વાસ ધરાવે છે.
તેમણે વધુમાં પ્રહારો કરતાં કહ્યું હતું કે 2G,3G,4G બધા જ તામિલનાડુમાં છે, અને પછી તેમણે આનો વિશિષ્ટ અર્થ સમજાવતા કહ્યું હતું કે 2G - મારન પરિવારની બે પેઢી, ૩G- કરુણાનિધિ પરિવારની ત્રણ પેઢી અને ૪G - એટલે કે ગાંધી પરિવારની ચાર પેઢી. આ બધુ જ તમિલનાડુમાં જોવા મળે છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે તેમને માત્ર રાહુલ બાબાને વડાપ્રધાન બનાવવાની ચિંતા છે અને સ્ટાલિનજીને ઉધયનિધિને મુખ્યમંત્રી બનાવવાની ચિંતા છે. આમને ન તો દેશની ચિંતા છે કે ન તો તમિલનાડુની. તેમને બસ પરિવારની જ ચિંતા છે.
ભાજપે છેલ્લા ૬ વર્ષોમાં જે કર્યું તે ૬૦-૭૦ વર્ષોમાં કોંગ્રેસ ન કરી શકી : અમિત શાહ
વધુમાં મોટો દાવો કરતાં તેમણે કહ્યું હતું કે છેલ્લા સાડા ૬ વર્ષના સમયગાળામાં અમે દેશના દરેક વ્યક્તિને મકાન આપવાના કગાર પર ઊભા છીએ. ૨૦૨૨માં એક પણ વ્યક્તિ એવો નહીં હોય જેની પાસે પોતાનું પાકું મકાન નહીં હોય. ૬૦-૭૦ વર્ષોમાં જે કામ કોંગ્રેસ ન કરી શકી તે ભાજપે માત્ર ૬ વર્ષોંમાં કરી બતાવ્યું છે.