કાશ્મીરમાં સુરક્ષાદળોની કડક કાર્યવાહીના સતત વધતા જતા દબાણથી આતંકી સંગઠનોથી લઈને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને પાક. સેના પણ ડરી ગઈ છે અને મોટા આતંકી હુમલા કરવામાં વારંવાર મળતી નિષ્ફળતાથી તેઓ નિરાશ થયા છે.
સુરક્ષાદળોની કાર્યવાહીથી હિઝબુલમાં હડકંપ
ઑપરેશનલ કમાન્ડરની જવાબદારી બદલાવી
ખતરનાક આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીને દક્ષિણ કાશ્મીરમાં તેના ઑપરેશનલ કમાન્ડર રિયાઝ નાયકુ ઉર્ફે ઝુબૈર ઉલ ઈસ્લામને હટાવી દીધો છે. સુરક્ષાદળોએ નાયકુ પર રૂપિયા 12 લાખનું ઈનામ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં હવે નવીદ બાબુ ઉર્ફે બાબર આઝમને નાયકુની જગ્યાએ સંગઠનની કમાન સોંપવામાં આવી છે. જોકે, નવીદ પણ સુરક્ષાદળોના ‘હિટ લિસ્ટ’માં છે.
ઑપરેશનલ કમાન્ડરની જવાબદારી લેવાઇ પરત
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાની સેનાએ હિઝબુલને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધુ ઘાતકી બનાવવા અને દક્ષિણ કાશ્મીરમાં ચોક્કસ સ્થળો પર હુમલો કરવા જણાવ્યું હતું, પરંતુ રિયાઝ નાયકુ મોટા આતંકી હુમલા કરવામાં સદંતર નિષ્ફળ ગયો હતો. હકીકતમાં નાયકુ કાશ્મીરની બહારના લોકો પર હુમલો કરવાના પક્ષમાં ન હતો. આ કારણે જ તેને સોંપવામાં આવેલી ઑપરેશનલ કમાન્ડરની જવાબદારી પાછી ખેંચી લેવામાં આવી છે.
અન્ય એક ચોંકાવનારી માહિતી અનુસાર, હિઝબુલ મુજાહિદ્દિન સમગ્ર કાશ્મીરની કમાન રિયાઝને સોંપવા જઈ રહ્યું છે. તેથી, દક્ષિણ કાશ્મીરની જવાબદારી નવેદને સોંપવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્ષ 2017માં પોલીસની નોકરી છોડીને આતંકી બનેલા નવિદે સરહદ પારના આતંકના આકાઓના આદેશ પર બહારના લોકોને નિશાન બનાવ્યા હતા. જોકે તે રિયાઝની જેમ ભણેલો-ગણેલો નથી, પરંતુ પાંચ વર્ષની પોલીસ નોકરી અને આતંક વિરોધી અભિયાનોમાં ભાગ લેવાને કારણે તે પોલીસની કામ કરવાની પદ્ધતિને સારી રીતે સમજે છે.
કોણ છે રિયાઝ નાયકુ ?
મૂળ અવંતીપોરાનો રહેવાસી રિયાઝ લગભગ સાત વર્ષથી આતંકી સંગઠનમાં સક્રિય છે. આતંકવાદી બનતા પહેલા તે એક સ્કૂલમાં શિક્ષક હતો. હિઝબુલ વડા સલાહુદ્દીને રિયાઝને દક્ષિણ કાશ્મીરમાં નવા યુવકોની ભરતી કરવાનું કામ સોંપ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું કે, રિયાઝ બે મહિનામાં ત્રણ વખત તેના ગામમાં આવ્યો હતો તથા અવંતિપોરા અને તેની આસપાસ આવેલી કેટલીક મસ્જિદોમાં ઉશ્કેરણીજનક ભાષણો આપીને યુવાનોને હથિયાર ઉપાડવા માટે ભડકાવતો હતો.
પાકિસ્તાન સેનાના આદેશ બાદ સલાહુદ્દીને થોડા દિવસોમાં રાવલપિંડીથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ની રાજધાની મુઝફ્ફરાબાદના અનેક પ્રવાસ કર્યા હતા. આ ઉપરાંત તે ઉરી, નૌગામ અને મચ્છલ સેક્ટરમાં એલઓસી (લાઈન ઑફ કન્ટ્રોલ) પાર પીઓકેમાં સ્થિત હિઝબુલના લૉન્ચિંગ પેડ પર પણ અનેક વખત ગયો હતો.