રોહિત શર્માની ધમાકેદાર ઈનિંગની મદદથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચનાં પહેલા દિવસે ટીમ ઈન્ડિયા 6 વિકેટે 300 રનનો સ્કોર કરી શકી છે.
રોહિત શર્માએ સાતમી સદી ફટકારી
12,000 દર્શકોએ મેચને લાઇવ નિહાળી
શુભમન ગીલ અને વિરાટ કોહલી શૂન્યમાં આઉટ
અજિંક્ય અને રોહિતનાં સહારે સન્માનજનક સ્કોર
રોહિત શર્મા અને અજિંક્ય રહાણેની સુઝબુઝ વાળી ઈનિંગને સહારે ભારતીય ટીમ એક સન્માનજનક સ્કોર કરવામાં કામયાબ થઈ હતી. અજિંક્ય રહાણેએ 149 બોલમાં 67 રન બનાવ્યા હતા જ્યારે રોહિત શર્માએ 231 બોલમાં 161 રન બનાવ્યા હતા.
દર્શકોએ મેચની મજા માણી
ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની આ બીજી ટેસ્ટ મેચમાં દર્શકોને પણ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ભારતીય ટીમે 12,000 દર્શકોનું મનોરંજન કર્યું હતું. ચેન્નાઈની ચેપોક પીચ પર 350નો સ્કોર પણ સારો માનવામાં આવે છે. ત્યારે પહેલા દિવસનાં અંતે ભારતીય ટીમ 6 વિકેટ ગુમાવીને 300 રન બનાવી શકી હતી.
રિષભ પંત પર અપેક્ષા
પહેલા દિવસનાં અંતે રિષભ પંત 33 રન પર અને અક્ષર પટેલ 5 રન બનાવીને નોટઆઉટ છે. બીજા દિવસે આ જોડી ટીમ ઈન્ડિયાનો સ્કોર આગળ ધપાવશે. હવે બીજા દિવસની રમતમાં ભારતને રિષભ પંત પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
ટીમ ઈન્ડિયાની શરુઆત ખૂબ ખરાબ રહી
પહેલી ટેસ્ટમેચમાં 227 રનથી હાર મેળવ્યા બાદ પણ ભારત બીજી ટેસ્ટમાં મજબૂત શરુઆત નહોતુ કરી શક્યું. મેચની શરુઆતમાંજ શુભમન ગીલ શૂન્ય રન પર આઉટ થઈ ગયો. ત્યારબાદ ચેતેશ્વર પુજારા પણ 21 રન બનાવીને જેક લીચનાં બોલ પર આઉટ થયો. ત્યારબાદ વિરાટ કોહલી પણ મોઈન અલીનાં બોલ પર શૂન્ય રને ક્લિન બોલ્ડ થઈ ગયો હતો. જેથી ભારતે ખૂબ સસ્તામાં પોતાની ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી.
ત્રણ વિકેટો સસ્તામાં ગુમાવી
શરુઆતમાં ત્રણ વિકેટો ગુમાવ્યા બાદ અજિંક્ય અને રોહિતે બાજી સંભાળી લીધી જેમાં રોહિતે તેનાં કરિયરની સાતમી સદી ફટકારી અને રહાણેએ તેનાં કરિયરની 23મી હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. અજિંક્ય અને રોહિતની શતકીય ભાગીદારીના સહારે ભારત એક મજબૂત સ્કોર તરફ આગળ વધી રહ્યું હતુ ત્યારે રહાણે 67 રન બનાવીને મોઈન અલીનો શિકાર થઈ ગયો. ત્યારબાદ બેટિંગમાં આવેલ આર અશ્વિનની વિકેટ પાર્ટ ટાઇમ બોલર જો રુટે ખેરવી નાંખી. છેલ્લે જેક લીચે રોહિત શર્માની કિંમતી વિકેટ ઝડપી લીધી. રોહિત શર્માએ 231 બોલમાં 161 રન બનાવ્યા જેમાં તેણે 18 ચોક્કા અને 2 છક્કા લગાવ્યા હતા.
બંને ટીમોએ ટીમમાં ફેરબદલ કર્યાં
પહેલી ટેસ્ટમાં કારમો પરાજય મેળવ્યા બાદ ઈન્ડિયાએ ટીમમાં ત્રણ ફેરફાર કર્યાં છે જેમાં જસપ્રીત બુમરાની જગ્યાએ મોહમ્મદ સિરાજને જગ્યા આપવામાં આવી છે તેમજ પહેલી ટેસ્ટમાં ખાસ પ્રદર્શન ના કરનાર નદીમને રિપ્લેસ કરીને અક્ષર પટેલને સ્થાન આપવામાં આવ્યું છે અને વોશિંગ્ટન સુંદરની જગ્યાએ કુલદીપ યાદવને સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ ઈંગ્લેન્ડે પણ ટીમમાં 4 ફેરફાર કર્યાં છે જેમાં ડોમ બેસની જગ્યાએ મોઈન અલી, જેમ્સ એન્ડરસનની જગ્યાએ સ્ટુઅર્ટ બ્રોડ અને ઈજાગ્રસ્ત જોફ્રા આર્ચરની જગ્યાએ ઓલી સ્ટોનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે વિકેટકીપર જોશ બટલરની જગ્યાએ બેન સ્ટોક્સને સ્થાન આપવામાં આવ્યું છે.