૨૫ જૂન, ૧૯૮૩નો દિવસ ભારતીય રમતોના ઇતિહાસમાં ક્યારેય પણ ભૂલી ન શકાય એવો દિવસ છે. વિન્ડીઝ સામે ભારતે ફાઇનલમાં ૪૩ રનથી આશ્ચર્યજનક જીત હાંસલ કરીને પહેલી વાર વર્લ્ડકપ ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય ટીમે કોઈએ આશા રાખી ન હોય એવું શાનદાર અને ચોંકાવનારું પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને વિન્ડીઝ જેવી એ જમાનાની ધરખમ ટીમોને ધૂળ ચટાડી હતી.
37 વર્ષ જૂનો ઇતિહાસ
ભારતીય ટીમ બની હતી વર્લ્ડ ચેમ્પિયન
૧૯૮૩ની એ ફાઇનલમાં એક તરફ હતી ૧૯૭૫ અને ૧૯૭૯નો વર્લ્ડકપ જીતી ચૂકેલી વિન્ડીઝની ધરખમ ટીમ અને બીજી તરફ હતી અંડરડોગ ભારતીય ટીમ. વિન્ડીઝે ટોસ જીતીને ભારતને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું અને ભારતીય ટીમ ૫૪.૪ ઓવરમાં માત્ર ૧૮૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. (એ સમયે ૬૦ ઓવરની વન ડે મેચ રમાતી હતી.) ભારત તરફથી કે. શ્રીકાંતે સૌથી વધુ ૩૮ રન બનાવ્યા હતા, જે મેચ પૂરી થયા બાદ ફાઇનલનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર સાબિત થયો હતો.
વિન્ડીઝની જેવી ધરખમ ટીમ સામે બહુ મોટું લક્ષ્ય નહોતું, પરંતુ બલવિન્દર સંધુએ ગોર્ડન ગ્રિનિજને માત્ર એક રને બોલ્ડ કરીને ભારતને જબરદસ્ત સફળતા અપાવી હતી. એ સમયે વિન્ડીઝનો સ્કોર પાંચ રન હતો. જોકે ત્યાર બાદ રિચર્ડ્સે તોફાની બેટિંગ કરતા ૩૩ રન બનાવી નાખ્યા. એ જ સમયે રિચર્ડ્સે મદનલાલની બોલિંગમાં મિડ વિકેટ તરફ એક ઊંચો શોટ ફટકાર્યો. કપિલે લાંબી દોડ લગાવી અને એક અદ્ભુત કેચ ઝડપી લીધો. ત્યાર બાદ તો વિન્ડીઝની ઇનિંગ્સ વેરવિખેર થઈ ગઈ અને ૫૨ ઓવરમાં ૧૪૦ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. એ ઐતિહાસિક સફળતા બાદ ટીમ ઇન્ડિયાએ ૨૮ વર્ષ બાદ ૨૦૧૧માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં શ્રીલંકાને હરાવીને વર્લ્ડકપ જીત્યો હતો.
The #WorldCup1983 Final like for many was a landmark event in my life.
Still recall my friends & I celebrating all wickets right from BS Sandhu's epic delivery to Greenidge to Kapil Paaji’s catch. We jumped & celebrated the fall of each wicket! What an evening it was.🙂 pic.twitter.com/1WJH4sXjRB
ભારતીય બોલિંગ માટે યાદ કરાય છે એ ફાઇનલઃ એ મેચમાં ભારત તરફથી કપિલદેવે ૧૧ ઓવરમાં ૨૧ રન આપીને એક વિકેટ ઝડપી હતી. એ દરમિયાન તેણે ચાર મેઇડન ઓવર પણ ફેંકી હતી. સંધુએ નવ ઓવરમાં ૩૨ રન આપીને બે વિકેટ ઝડપી હતી. મદનલાલે ૧૨ ઓવરમાં ૩૧ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. રોજર બિન્નીએ ૧૦ ઓવરમાં ૨૩ રન આપીને એક વિકેટ ઝડપી હતી. જ્યારે ખરો ચમત્કાર તો મોહિન્દર અમરનાથે કર્યો હતો. તેણે સાત ઓવરમાં માત્ર ૧૨ રન આપીને ત્રણ કેરેબિયનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા. મોહિન્દરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
એક-એક લાખ રૂપિયા મળ્યા હતા
૨૦૧૧નાો વિશ્વકપ જીતનારી ટીમ ઇન્ડિયાને BCCIએ બે કરોડ રૂપિયા આપ્યા હતા, પરંતુ ૧૯૮૩ની વિશ્વવિજેતા ટીમ એટલી ભાગ્યશાળી નહોતી. લતા મંગેશકરે નેશનલ સ્ટેડિયમમાં મ્યુઝિક કોન્સર્ટ યોજીને થયેલી કમાણીમાંથી ભારતીય ટીમના સભ્યોને એક-એક લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
શ્રીકાંતે તો હનીમૂનની ટિકિટ પણ બુક કરાવી લીધી હતી
એક કાર્યક્રમમાં શ્રીકાંતે કહ્યું હતું, ''મને વિશ્વાસ હતો કે ભારત સેમિફાઇનલમાં પણ નહીં પહોંચે. હું હનીમૂન માટે અમેરિકા જવા ઇચ્છતો હતો. હું ૨૩ વર્ષનો હતો. બે મહિના પહેલાં જ મારાં લગ્ન થયાં હતાં. મારી પત્ની ૧૮ વર્ષની હતી. અમે લંડનથી ન્યૂયોર્કની રૂ. ૧૦,૦૦૦ની ટિકિટ પણ પણ બુક કરાવી લીધી હતી.''