કોરોના સંક્રમણ અને લોકડાઉનના ડર વચ્ચે ચાલુ વર્ષે લગ્ન સહિતનાં અનેક શુભ કાર્યો, મુહૂર્ત અટવાઇ ગયાં છે.જોકે લગ્ન પ્રસંગ માટે સરકાર દ્વારા ચોક્કસ મર્યાદાને આધીન લોકોના એકઠા થવા પર પણ પ્રતિબંધ છે તેથી જે લોકો ઝાકઝમાળ અને ધામધૂમથી લગ્ન કરવા ઈચ્છે છે તેઓને હવે નવેમ્બર માસ સુધી લગ્નનાં શુભ મુહૂર્તની રાહ જોવી પડશે
ચાલુ માસમાં માત્ર ત્રણ જ લગ્ન મુહૂર્ત બાકી
ભગવાન શયન મુદ્રામાં હોય લગ્ન સહિતનાં શુભ કાર્યો પર રોક
૨૫ નવેમ્બરે દેવઊઠી એકાદશી સાથે લગ્નસરાની નવી સિઝન શરૂ
ચાલુ માસમાં લગ્ન સિઝનના હવે માત્ર ત્રણ જ લગ્ન મુહૂર્ત બાકી રહેવાની સાથે જ આગામી ૧ જુલાઇના બુધવારથી હિંદુ ચાતુર્માસ શરૂ થશે. ૨૫, ૨૯ અને ૩૦ જૂનના રોજ લગ્ન મુહૂર્ત બાદ ૨૫ નવેમ્બરે દેવઊઠી એકાદશી સુધી લગ્ન કાર્ય પર રોક લાગશે.
હિંદુ ધાર્મિક પરંપરા મુજબ દેવપોઢી એકાદશી અને દેવઊઠી એકદાશી વચ્ચેના સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે દેવપોઢી એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં જતા હોવાનું માનવામાં આવે છે. ત્યાર બાદ ચાર મહિના સુધી ભગવાન શયન મુદ્રામાં હોય લગ્ન સહિતનાં શુભ કાર્યો પર રોક મૂકવામાં આવે છે.
દિવાળી બાદ આવતી દેવઊઠી એકાદશીએ ભગવાન ફરી પૃથ્વી લોક પર આવવાની સાથે લગ્નસરાની નવી સિઝનનો આરંભ થતો હોવાનું માનવામાં આવે છે. ચાલુ વર્ષે ૧ જુલાઇએ દેવપોઢી એકાદશી અને ૨૫ નવેમ્બરે દેવઊઠી એકાદશી હોઈ વચ્ચેના દિવસોમાં ચાતુર્માસની ગણતરીએ લગ્નની શહેનાઇઓ ગૂંજશે નહીં.
સામાન્ય રીતે હિંદુ ચાતુર્માસ એટલે કે દેવપોઢી એકાદશીથી દેવઊઠી એકાદશી વચ્ચે ચાર મહિનાનું અંતર હોય છે, પરંતુ ચાલુ વર્ષે આસો અધિક માસ હોવાથી આ અંતર પાંચ મહિનાનું થઇ ગયું છે. ૧ જુલાઇએ દેવપોઢી એકાદશી બાદ હવે ૨૫ નવેમ્બરે દેવઊઠી એકાદશી સાથે લગ્નસરાની નવી સિઝન શરૂ થશે. તે વચ્ચે ૨૨ ઓગસ્ટે ગણેશોત્સવનો આરંભ થશે. ૧૮ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર સુધી અધિક માસ છે. ત્યાર બાદ સામાન્ય આસો માસ શરૂ થવાની સાથે નવરાત્રિ પર્વ આવશે. આ વર્ષે ગણેશ ચતુર્થી અને નવરાત્રિ પર્વ વચ્ચે દોઢ મહિનાનો સમયગાળો રહેશે.