ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટી અને હિંદુ મહાસભાના નેતા કમલેશ તિવારી પર શુક્રવારે ધોળા દિવસે ચાકૂથી ગળુ કાપી હત્યા કરવામાં આવી હતી. તેમને તાત્કાલિક ટ્રૉમા સેન્ટર લઇ જવાયા, જ્યાં તેમનું મોત થયું. ત્યારે ગુજરાત એટીએસએ તિવારી હત્યા કેસ મામલે કેટલાક મોટા ખુલાસા કર્યા છે.
ગુજરાતમાંથી પકડાયેલા ઉબેદની પૂછપરછમાં થયો હતો ખુલાસો
ગુજરાત ATS પાસે તમામ ચેટિંગના પુરાવા છે
છરીથી 15 વખત કરાયો હુમલો
તિવારીએ મહમદ પયંગબર પર આપ્યું હતું વિવાદિત નિવેદન
હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. આ વાતની જાણ થઇ છે કે કમલેશ તિવારી ISISના આતંકવાદીઓના નિશાને પણ હતા.
2017માં ગુજરાત એટીએસએ ISISના ઉબૈદ મિર્ઝા અને કાસિમની ધરપકડ કરી હતી. ગુજરાત એટીએસ સિવાય સેન્ટ્રલ એજન્સીએ પણ આતંકવાદીઓ સાથે પૂછપરછ કરી હતી. બન્ને આતંકવાદીઓએ પૂછપરછમાં કમલેશ તિવારીનું નામ લીધું હતું. ઉબૈદ અને કાસિમને તેમના હેંડલરે વીડિયો બતાવીને કમલેશ તિવારીને મારવા માટે કહ્યું હતું.
મહત્વનું છે કે, ગુજરાત એટીએસએ ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં કમલેશ તિવારીની હત્યાનું ષડયંત્ર વિશે પણ ખુલાસો કર્યો હતો. ગુજરાત એટીએસની પાસે કમલેશ તિવારીથી સંબંધિત આતંકવાદીઓની ચેટિંગ પણ છે અને તમામ પુરાવા પણ. ગુજરાત એટીએસએ આતંકવાદીની પૂછપરછમાં કમલેશ તિવારીને લઇને થયેલ ખુલાસાની જાણકારી સેન્ટ્રલ એજન્સીઓને પણ આપી હતી.
સુરતથી લેવામાં આવ્યો હતો મિઠાઇનો ડબ્બો
તપાસમાં જાણ થઇ છે કે કમલેશ તિવારી હત્યાકાંડમાં ઉપયોગમાં લેવાનાર મિઠાઈનો ડબ્બો 16 ઓક્ટોબરે સુરતની મિઠાઈની દુકાનથી ખરીદવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે તપાસમાં લાગી છે.
છરીથી 15 વખત કરાયો હુમલો
કમલેશ તિવારીને છરીથી 15 વખત હુમલો કરીને હત્યા કરાઇ છે. ખુર્શીદ બાગ સ્થિત હિન્દુ સમાજ પાર્ટીના કાર્યાલય પર અજાણ્યા લોકો ચા પીવા આવ્યા હતા. તેઓ તેમની સાથે મીઠાઈના ડબ્બામાં છરી અને તમંચો લઈને આવ્યા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે મોબાઈલની વિગતોની ચકાસણીની સાથે સર્વિલન્સની પણ મદદ મેળવી આરોપીની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસને ઘટનાસ્થળ પરથી તમંચો અને કારતૂસ મળી આવ્યા છે. કમલેશ તિવારીના ગળા પર ગંભીર ઈજા થઈ હતી. આથી હુમલાખોરોએ ગોળી ચલાવવા ઉપરાંત કમલેશ તિવારીના ગળા પર ધારદાર હથિયાર વડે હુમલો પણ કર્યો હતો એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
તિવારીએ મહમદ પયંગબર પર આપ્યું હતું વિવાદિત નિવેદન
આ અગાઉ હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીએ ડિસેમ્બર 2015માં મહમદ પયંગબર વિરોધી વિવાદિત નિવેદન આપ્યું હતું. તેને લઈને ઘણો વિવાદ પણ થયો હતો. ત્યાર બાદ કમલેશ તિવારીની વિવાદાસ્પદ નિવેદન બદલ ધરપકડ કરવામાં આવી હતી. જો કે હાલમાં જ તેઓ જામીન પર છૂટ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે હાલમાં જ કમલેશ તિવારી પર લાગેલા રાષ્ટ્રીય સુરક્ષા કાનૂનને હટાવ્યો હતો. કમલેશ તિવારીની હત્યા બાદ લખનૌમાં વિરોધ જોવા મળી રહ્યો છે. હિન્દુ સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. બસમાં તોડફોડ કરી ચક્કાજામ કર્યો હતો.