હિંમતનગરમાં ઉભા થયેલા હિંસક ઘર્ષણને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી, DGP, રેન્જ IG, જિલ્લા SP સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા, સ્થાનિક આગેવાનોને પણ બોલાવામાં આવ્યા હતા
હિંમતનગરથી DGP આશિષ ભાટીયાની પત્રકાર પરિષદ
ગૃહ રાજ્યમંત્રી અને DGPએ સ્થાનિક અધિકારીઓ સાથે કરી હતી બેઠક
કોઇ ગરબડ કરશે તો તેને છોડવામાં નહી આવેઃ DGP
રામનવમીના દિવસે હિંમતનગર અને ખંભાતમાં થયેલી હિંસાથી ફરી રાજ્યનીસાંપ્રદાયિકતા દૂષિત થઈ હતી. સાબરકાંઠાના હિમતનગરમાં આજે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી જેમાં કોઈ પણ ચમરબંધી ને ન છોડવા તેમજ આગામી સમયમાં ગુજરાતમાં ફરીથી શાંતિ સ્થાપવા માટે કરેલા પ્રયાસની વિગતો રજૂ કરી હતી.
ગૃહ રાજ્યમંત્રી અને DGPએ સ્થાનિક અધિકારીઓ સાથે કરી હતી બેઠક
બેઠક પૂર્ણ થયા પછી DGP આશિષ ભાટીયાએ માહિતી આપતા કહ્યું કે ફરીથી કોઇ આવી ઘટના ન બને તેનું ધ્યાન રખાવામાં આવશે. કમ્યુનલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા સૂચના અપાઇ છે. ઘટના અંગે ગુના દાખલ કરી તપાસ અને આરોપીઓને પકડવા માટે અલગ- અલગ ટીમની રચના કરવામાં આવી છે. પોલીસનું સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, બહારથી અસામાજિક તત્વોને આવતા રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. કોઇ તોફાન કરી ફરાર ન થાય તેની તકેદારી રખાવામાં આવશે. તે સાથે RAFની 2, SRP ની 4 ટીમો પણ તૈનાત કરાઈ છે.
બેઠકમાં વિવિધ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા
ઉચ્ચ કક્ષાની બેઠકમાં વિવિધ સંગઠનો સહિત સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તેમજ સાબરકાંઠા જિલ્લા કલેકટર તેમજ રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સહિત ધારાસભ્ય અને સાંસદ સાથે હિંમતનગરમાં બનેલા પથ્થરમારાની ઝીણવટભરી માહિતી મેળવી હતી તેમજ ગત મોડી રાત્રે હિંમતનગરના વણઝારા વાસ માં થયેલ આ બનાવ અંગે પણ માહિતી રજૂ કરી હતી
વણઝારા વાસમાં બનેલી ઘટનામાં 10 વ્યક્તિની અટકાયત: DGP આશિષ ભાટીયા
તેમણે જણાવ્યું હતું કે ગત રાત્રે એક બનેલા બનાવ અંગે અત્યાર સુધીમાં 10 વ્યક્તિની અટકાયત થઈ ચૂકી છે તેમ જ હાલમાં સ્થાનિક કક્ષાએ વણજારા વાસ માં એક પોઈન્ટ ઉભો કરવાની માહિતી આપવામાં આવી હતી જોકે ગુજરાત પોલીસ વડાએ કોઈપણ આરોપી બક્ષવામાં નહીં આવે તેમ કહી આગામી સમયમાં ઉદાહરણ સ્વરૂપ બને તેવી કાર્યવાહી હાથ કરવાની ખાતરી આપી હતી સાથો સાથ આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પોલીસ વડાએ જણાવ્યું હતું કે આ સમગ્ર બનાવો દેશના અન્ય કોઈ વ્યક્તિનો હાથ ન હોવાનું જણાવ્યું હતું. તેમજ સમગ્ર પરિસ્થિતિ ઉપર તાત્કાલિક ધોરણે નિયંત્રણ મેળવી લેવાશે તેવી લોકોને બાંહેધરી પણ આપી
આજે રાતે CM બંગલે બેઠક
મળતી જાણકારી પ્રમાણે, સમગ્ર મામલે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે અને ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને રાતે 8 કલાકે એક ખાસ બેઠક બેલાવી છે.આ બેઠકમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી DGP તથા મુખ્ય સચિવ, ગૃહ સચિવ સહિતના ઉચ્ચાધિકારીઓ હાજર રહેશે.
સોમવારની રાત્રે હિંમતનગરના હસનનગરમાં ફરી ભડકી હતી હિંસા
10 એપ્રિલ 2022ના રોજ હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જે બાદ સોમવારની રાત્રે 11 વાગ્યા આસપાસ સાબરકાંઠાના હિંમતનગરમાં ફરી તંગદીલીનો માહોલ જોવા મળ્યો હતો. હસનનગર વિસ્તાર માંથી પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ હતી. હસનનગર વિસ્તારમાં આવેલા વણઝારાવાસમાં બે ટોળાઓ સામસામે આવી જતા સ્થિતિ થોડી ઘડીઓ માટે અજંપાભરી થઈ ગઈ હતી. સામ સામે પથ્થરમારો કર્યા બાદ પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ હતી. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોચ્યો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા ટિયરગેસના સેલ છોડ્યા હતા. પોલીસ જે ઘટના સ્થળે હતી પણ અંધારાનો લાભ લઈ અસામાજિક તત્વો ફરી હિંસા ભડકાવવાના પ્રયાસ કર્યા હતા. તે ઉપરાંત પેટ્રોલ બોમ્બ પણ અલગ અલગ જગ્યાએથી નાખવામાં આવી રહ્યા હતા જેના કારણે પોલીસને પણ સ્થતિ સમજવામાં સમય લાગી રહ્યો હતો. ભારે જહેમત બાદ ત્યાં કાબૂ મેળવવામાં આવ્યો હતો.
વણજારાવાસના કેટલાક લોકોએ હિજરત કરવાનો કર્યો પ્રયાસ, પોલીસે સમજાવ્યા
હિંમતનગરમાં ગતરોજ દિવસ દરમિયાન શાંતિ રહ્યા બાદ ઉપદ્રવીઓ દ્વારા રાત્રીના અંધારાનો ફાયદો ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં વણજારાવાસમાં આગચંપીના બનાવો પણ બન્યા હતા. આ બનાવને પગલે વણજારાવાસના કેટલાક લોકોએ હીજરતનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ દ્વારા સમજાવવામાં આવતાં પરિવારો પરત ફર્યા હતા. પોલીસ દ્વારા પણ શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં ડ્રોન દ્વારા શહેરના વિસ્તારોની પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે. પોલીસના દાવા મુજબ હિંમતનગરમાં હાલ તો સ્થિતિ કાબુમાં છે.