ઉનાળો આકરો મિજાજ દાખવી રહ્યો છે. વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે તેની ખબર પણ ઉનાળામાં પડી જાય છે. ત્યારે વૃક્ષોની કેટલી જરૂરિયાત છે તેનો સાક્ષાત અનુભવ થાય છે. પરંતુ વૃક્ષોના સંરક્ષણની જેટલી જવાબદારી નાગરિકોની છે તેટલી જવાબદારી તંત્રની પણ છે. પરંતુ સાબરકાંઠા જિલ્લામાં સરકારી કચેરીમાં જ વિકાસની નામે વૃક્ષોની કતલેઆમ ચાલી રહી છે અને તંત્રએ જાણે છૂટો દૌર આપી દીધો છે. જોઈએ આ અહેવાલ.
આ ઘેઘૂર વડલાઓ અને આ લીલાછમ વૃક્ષો કાળજાળ ગરમીમાં ધરતીનું અને ધરતી પર વસનારા તમામનું રક્ષણ કરી રહ્યા છે. આકાશથી વરસતી ગગનજ્વાળાઓ સામે ઢાલ બનીને ઊભેલા આ વૃક્ષો માનવજાત-પશુ પંખીઓ માટે રક્ષણહાર છે. એટલે જ તો વક્ષારોપણ અને તેના સંરક્ષણ માટે સરકારે અનેક કાયદાઓ બનાવ્યા છે.
પરંતુ આજકાલ વિકાસના નામે ક્યાંક ખુદ સરકારી તંત્ર દ્વારા તો ક્યાંક ખાનગી લોકો દ્વારા વૃક્ષોની કતલેઆમ ચલાવાઈ રહી છે. સાબરકાંઠાના પાટનગર હિંમતનગર ખાતે જૂના મહિલા પોલીસ સ્ટેશનમાં કપાયેલા યોદ્ધાની માફક પડેલા આ વક્ષોની હાલત દયનીય છે. વિકાસના નામે ચાલી રહેલી વિનાશલીલાનો બોલતો પુરાવો છે. જૂના મહિલા પોલીસસ્ટેશનમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અનેક લીલાછમ અને ઘેઘૂર વૃક્ષો આડેધડ કાપી નાખવામાં આવ્યા છે.
વડ હોય કે લીમડો તંત્રને જાણે તેની કશી જરૂર રહી નથી. વર્ષોજૂના આ ઘેઘૂર વૃક્ષો અનેક પશુ પક્ષીઓનું આશ્રયસ્થાન બન્યા હતા. પરંતુ અચાનક વૃક્ષો કાપી નાખવામાં આવતાં પશુ-પક્ષીઓના માળા વેરવિખેર થી ગયા છે અને તેમનો આશરો છીનવાયો છે. આ જોઈને પ્રકૃતિસંરક્ષણની લડાઈ લડી રહેલા ઈડરબચાવ સમિતિના કાર્યકરોનો જીવ ઉકળી ઉઠયો છે.
વૃક્ષોનું નિકંદન
રાજ્યમાં વૃક્ષોની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે તેવામાં નવા વૃક્ષો વાવવા એ જરૂરી બની ગયું છે. ત્યારે વર્ષોજૂના વૃક્ષોનું આ રીતે નિકંદન કાઢી નાખવું પ્રકૃતિના રોષને આમંત્રણ આપવા જેવું કૃત્ય છે અને આ કૃત્ય હિંમતનગરના સ્થાનિક વહીવટીતંત્રની મંજૂરીથી આકાર પામ્યું છે.
વૃક્ષો કપાયાની જાણ થતાં ઈડર ગઢ બચાવો સમિતિના કાર્યકરો જૂના મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક તલાટી અને સંબંધિત કર્મચારીઓને વૃક્ષોની કતલેઆમ રોકવા વિનંતી કરી પરંતુ તંત્રના રખેવાળોને જાણે વૃક્ષો કાપ્યા સિવાય વિકાસ દેખાતો ન હતો.
સ્થાનિક તલાટી ઉપરથી મંજૂરી મળી હોવાનું ગાણુ ગાઈ રહ્યા હતા. જ્યારે તેમની વાત દસ્તાવેજી રૂપે મીડિયાકર્મીએ કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યો તો તેમનો કેમેરો છીનવવાનો પ્રયાસ કરવામા આવ્યો. જો કે વૃક્ષસંરક્ષક સામાજિક કાર્યકરો એમ કંઈ આ લડાઈ છોડવાના મૂડમાં નથી.
બે-જવાબદાર તંત્રના કારણે પ્રકૃતિની ઘોર ખોદાઈ
એક તરફ ગ્લોબલ વોર્મિંગની અસર નિવારવા વધુને વધુ વૃક્ષો વાવવાની જરૂરિયાત ઉભી થઇ છે ત્યારે સામે આવા બે-જવાબદાર તંત્રના કારણે પ્રકૃતિની ઘોર ખોદાઈ રહી છે. શું તંત્ર પ્રકૃતિને ભોગે વિકાસની ભેટ આપવા માગે છે. કદાચ વિકાસની ઊંચી ઈમારતો ચણાશે પરંતુ તંદુરસ્ત માનવજાત ક્યાં હશે તે સવાલ તેમને પૂછવાનું મન થાય છે.