દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા વિરુદ્ધ વધુ એક માનહાનીનો કેસ નોંધાયો છે. પહેલા આસામના મુખ્યમંત્રીની પત્નીએ કેસ કર્યો હતો અને ખુદ આસામના મુખ્યમંત્રીએ કેસ કર્યો છે.
દિલ્હીના નાયબ સીએમ પર વધુ એક માનહાનીનો કેસ
અગાઉ આસામના સીએમના પત્નીએ પણ લગાવ્યો હતો આરોપ
આવો છે સમગ્ર મામલો
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા વિરુદ્ધ માનહાનીનો વધુ એક કેસ નોંધાયો છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ 30 જૂનના કામરુપમાં સીજએમ કોર્ટ સમક્ષ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા વિરુધ્ધ ગુનાહિત માનહાનીનો કેસ નોંધાવ્યો છે. આ પહેલા સીએમ હિમંત બિસ્વા સરમાની પત્ની રિંકી ભુઈયા સરમાએ પણ મનીષ સિસોદીયા વિરુધ્ધ સિવિલ જજ કોર્ટમાં 100 કરોડનો માનહાનીનો દાવો ઠોક્યો હતો.
શું છે મામલો
હકીકતમાં જોઈએ તો, આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ 4 જૂનના રોજ એક પ્રેસ ક્રોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો હતો કે, ભારત 2020માં જ્યારે કોવિડ મહામારીથી ઝઝૂમી રહ્યું હતું, ત્યારે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પોતાની પત્ની અને દિકરાની વેપારી ભાગીદારી કંપનીઓને પીપીઈ કિટની સપ્લાઈ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જો કે, આસામ સરકારે આ આરોપોનું ખંડન કર્યું છે કે, મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાનો પરિવાર મહામારી દરમિયાન પીપીઈ કિટની સપ્લાઈમાં ક્યાંય પણ સામેલ નહોતો.
હાલમાં રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આ આરોપ બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા વિરુદ્ધ ગુનાહિત માનહાની કેસ દાખલ કરવાની ચેતવણી આપી હતી. સરમાને ઉપરાઉપરી ટ્વિટમાં કહ્યું હતું કે, આસામ પાસે ત્યારે ભાગ્યે જ કોઈ પીપીઈ કિટ હતી. તેમણે કહ્યું કે, મારી પત્નીએ આગળ આવવાનું સાહસ બતાવ્યું છે અને લગભગ 1500 કિટ લોકોના જીવ બચાવવા માટે સરકારને દાનમાં આપી. તેના માટે એક પણ રૂપિયો નથી લીધો.
મનીષ સિસોદિયાએ શું આરોપ લગાવ્યો હતો
મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને આરોપ લગાવ્યો હતો કે, માનનીય હિમંત બિસ્વ સરમાજી. આ રહ્યો આપની પત્નીની જેસીબી ઈંડસ્ટ્રીઝના નામ 990 રૂપિયા પ્રતિ કિટના હિસાબે 5000 કિટ ખરીદનો કોન્ટ્રાક્ટ, બતાવો શું આ કાગળ ખોટા છે ? શું સ્વાસ્થ્ય મંત્રી રહેતા પોતાની કંપનીનીને નોટિફિકેશન જાહેર કર્યા વિના ઓર્ડર આપવો ભ્રષ્ટાચાર નથી ? સિસોદીયાએ નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં કહ્યું કે, આસામ સરકારે અન્ય કંપનીઓને 600 રૂપિયા પ્રતિ કિટના હિસાબે પીપીઈ કિટ ખરીદી છે.