ગ્લોબલ વોર્મિંગના કારણે હિમાલયના 650 ગ્લેશિયર સામે મોટો ખતરો ઉભો થયો છે, જે સતત પીગળતા જાય છે. જો આ ઝડપથી જ ગ્લેશિયર પીગળતા રહ્યા તો આવનારા થોડા સમયમાં જ હિમાલયના મોટાભાગના ગ્લેશિયર પાણીમાં ફેરવાઈ જશે. વધતા પાણીના કારણે જમીન પર રહેતા લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. વૈજ્ઞાનિકોએ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
સતત વધતા તાપમાનના કારણે 21મી સદીની શરૂઆતથી જ હિમાલયના ગ્લેશિયરો પીગળવાની ઝડપ બમણી થઈ ગઈ છે. દર વર્ષે ગ્લેશિયરોનો લગભગ અડધો મીટર બરફ પીગળી જવાના લીધે વૈજ્ઞાનિકોએ ભારત સહિત ઘણા દેશોમાં જળસંકટ ઉભું થવાની આશંકા પણ વ્યક્ત કરી છે. 40 વર્ષ સુધી ભારત, ચીન, નેપાળ અને ભૂતાનના હિમાલય ક્ષેત્રોમાંથી સેટેલાઈટ દ્વારા મેળવવામાં આવેલા આંકડાઓના આધારે આ વાત જાણવા મળી છે.
અભ્યાસ અનુસાર, વર્ષ 2000 પછી દર વર્ષે આ હિમાલય ક્ષેત્રમાં લગભગ દોઢ ફૂટ બરફ ઓછો થઈ રહ્યો છે. 1975થી 2000 વચ્ચે બરફ પીગળવાના દરની સરખામણીએ આ આંકડો લગભગ બમણો છે. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના સંશોધક જોશુઆ મોરરે જણાવ્યું કે, આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે, હિમાલયના ગ્લેશિયર અત્યારે કેટલી ઝડપથી અને શા માટે પીગળી રહ્યા છે.
મોરરે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, છેલ્લા ચાર દાયકામાં ગ્લેશિયરોએ તેનો ચોથો ભાગ ખોઈ દીધો છે. હાલ હિમાલયમાં લગભગ 600 અબજ ટન બરફ હોવાનું અનુમાન છે. એક સમય હતો જ્યારે હિમાલયને પૃથ્વીનો 'ત્રીજો ધ્રુવ' કહેવામાં આવતો હતો.
વૈજ્ઞાનિકોએ સેટેલાઈટ દ્વારા સમગ્ર હિમાલય ક્ષેત્રમા ડેટાનો અભ્યાસ કરીને જણાવ્યું છે કે, બરફ પીગળવાનું સૌથી મોટું કારણ વૈશ્વિક તાપમાનમાં થયેલી વૃદ્ધિ છે. તેમણે પશ્ચિમથી પૂર્વ તરફ 2000 કિલોમીટર સુધી ફેલાયેલા લગભગ 650 ગ્લેશિયરોના સેટેલાઈટ પિક્ચરનું વિશ્લેષણ હાથ ધર્યું હતું.
અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, 1975થી 2000 વચ્ચે હિમાલયના ગ્લેશિયરોમાં દર વર્ષે લગભગ 0.25 મીટરનો એવરેજ ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2000 બાદ હિમખંડ પીગળવાનો આ દર વર્ષે લગભગ અડધો મીટર થઈ ગઈ હતી.