હિમાચલ પ્રદેશના કિન્નોર સ્થિત નિગુલસારીથી બે કિલોમીટર પહેલાં રામપુર તરફ અચાનક થયેલા ભૂસ્ખલનમાં કાટમાળની નીચે બસ દબાતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે.
હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભૂસ્ખલન
ભૂસ્ખલન બાદ અત્યાર સુધી 13 લોકોના મોત
વડાપ્રધાન મોદીએ કરી આર્થિક સહાયની જાહેરાત
દુર્ઘટનામાં 13 લોકોના મોત
માહિતી અનુસાર, હજી પણ બસ કાટમાળમાં જ દબાયેલી છે. તો રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કાર્યમાં જોડાયેલી છે. અત્યાર સુધી 13 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યાં છે. જ્યારે 13 લોકોના દુર્ઘટનામાં મોત નિપજ્યાં છે. જેમાંથી 10 લોકોના મૃતદેહો મળ્યા હતાં. જ્યારે 3 મૃતદેહો આઈટીબીપીને રેસ્ક્યુ ઓપરેશન દરમ્યાન મળ્યાં છે.
કાટમાળમાં ઘણી ગાડીઓ દબાઈ હોવાની આશંકા
એક બસ, બોલેરો અને તેના યાત્રાળુઓ હજી સુધી કાટળાળમાં મળ્યાં નથી. ગઈકાલે અંધારૂ થતાં રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું. હિમાચલ સરકારે માહિતી આપી છે કે, ગુરૂવારે સવારે રેસ્ક્યુ ઓપરેશન ફરીથી શરૂ કરાશે. ડીસી આબિદ હુસેને માહિતી આપી છે કે હજી પણ કાટમાળમાં ઘણી ગાડીઓ દબાઈ હોવાની આશંકા છે.
વડાપ્રધાન મોદીએ સહાયની કરી જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકના પરિવારજનો અને ઘાયલ વ્યક્તિઓ માટે આર્થિક સહાયતાની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે કહ્યું કે, અમુક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સતત પત્થરો ધરાશાયી થવાથી બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. તેમણે કહ્યું કે, ફસાયેલા લોકોના આંકડા વિશે કશુ કહી શકાય તેવુ નથી. તેમણે કહ્યું કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે દુર્ઘટના અંગે વાતચીત થઈ છે અને તેમણે એનડીઆરએફની ટીમને બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે મોકલવાના આદેશ આપી દીધા છે.