ગુજરાતમાં કોરોના વાયરસના કેસનો ગ્રાફ સતત વધી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોના વાયરસના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે.
સૌરાષ્ટ્રમાં વધ્યું કોરોનાનું સંક્રમણ
એક દિવસમાં 1 હજારથી વધુ કેસ
રાજકોટ બાદ જામનગર-મોરબીમાં સૌથી વધુ કેસ
બીજી લહેર બની ઘાતકી
દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. કોરોના વાયરસની બીજી લહેરમાં પહેલી લહેર કરતાં પણ વધારે કેસ સામે આવી રહ્યા છે અને પરિસ્થિતિ વધુને વધુ વિકટ બનતી જઈ રહી છે. ગુજરાતમાં પણ દરરોજ કોરોના વાયરસ રેકોર્ડ તોડી રહ્યો છે અને એક્ટિવ કેસ સતત વધી રહ્યા છે ત્યારે હવે મહાનગરોની સાથે સાથે સૌરાષ્ટ્રમા કોરોના વાયરસનું તાંડવ જોવા મળી રહ્યું છે.
એક દિવસમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના 1 હજારથી વધુ કેસ
સૌરાષ્ટ્રમાં 8મી એપ્રિલે જાહેર કરાયેલા આંકડા અનુસાર એક એક દિવસમાં એક હજાર કરતાં વધારે સત્તાવાર કેસ સામે આવ્યા છે. રાજકોટ બાદ જામનગર અને મોરબીમાં સૌથી વધારે સંક્રમણ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં જ 520 કેસ સામે આવ્યા છે જ્યારે જામનગર શહેર અને ગ્રામ્યમાં 245 કોરોનાગ્રસ્ત થયા છે. મોરબીમાં પણ એક જ દિવસમાં 37 કેસ કોરોનાસંક્રમિત થયાના સામે આવ્યા છે.
રાજકોટ બાદ જામનગર અને મોરબીમાં સૌથી વધુ સંક્રમણ
નોંધનીય છે કે ગુજરાતભરમાં સ્મશાન અને સરકારી આંકડાઓમા વિસંગતતા જોવા મળી રહી છે. સ્મશાનમાં કોરોના વાયરસ પ્રોટોકોલ અનુસાર જેટલા લોકોના અંતિમ સંસ્કાર કરાઇ રહ્યા છે તેનાથી ખૂબ ઓછા આંકડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા છે.
કોરોના વાયરસ કેસ અપડેટ (8 એપ્રિલ)
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે ગઇકાલે મોતનો આંકડો 35 પર પહોંચ્યો છે. તો સાથે કોરોનાના કેસની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4021 કેસ નોંધાયા છે અને 2197 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,07,346 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 35 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 951 કેસ અને ગ્રામ્યમાં 26 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 723 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 237 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 379 કેસ, જ્યારે ગ્રામ્યમાં 111 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 427 કેસ અને ગ્રામ્યમાં 93 કેસ નોંધાયા છે.