ગુજરાતમાં આગામી ચાર દિવસોમાં વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગની આગાહી, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વલસાડમાં સવા 6 ઇંચ વરસાદ
આગામી 4 દિવસ વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
સૌથી વધુ વલસાડમાં સવા 6 ઈંચ વરસાદ
ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જો કે ઘણા ખરા વિસ્તારોમાં હજી વરસાદની રાહ જોવાઇ રહી છે તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત નવસારી, વલસાડ અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
1થી 3 જુલાઇમાં ક્યાં પડશે વરસાદ ?
હવામાન વિભાગ દ્વારા પહેલી જુલાઇએ નવસારી, વલસાડ અને દિવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને ક્ચ્છના કેટલાંક જિલ્લામાં પણ 1 જુલાઇના રોજ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 2 જુલાઇએ દાહોદ, મહીસાગર, છોટાઉદેપરુમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 3 જુલાઇએ બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, કચ્છમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ?
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 41 તાલુકામાં સૌથી વધુ વરસાદ વલસાડમાં સવા 6 ઈંચ નોંધાયો. જ્યારે પારડીમાં 3.5 ઈંચ, મહુવામાં સવા 2 ઈંચ ગારિયાધારમાં 2 ઈંચ, વાપીમાં પોણા 2 ઈંચ, હાંસોટમાં 1.5 ઈંચ, હાલોલમાં 1.5 ઈંચ વરસાદ, માંગરોળમાં સવા ઈંચ, ધરમપુરમાં 1 ઈંચ વરસાદ જ્યારે ઓલપાડમાં 1 ઈંચ, કપરાડામાં 1 ઈંચ વરસાદ નોંધાયો.
4 દિવસ દમણનો દરિયો તોફાની રહેવાની શક્યતા
આ ઉપરાંત દમણનો દરિયો પણ તોફાની બનતા તંત્ર દ્વારા દરિયાકિનારે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું. સલામતીના ભાગરૂપે દરિયો ન ખેડવા તંત્ર દ્વારા માછીમારોને આદેશ જારી કરવામાં આવ્યા હતા અને પર્યટકોને પણ દરિયા કિનારા નજીક જવા પર મનાઇ ફરમાંવી દેવામાં આવી હતી. હજુ આગામી 4 દિવસ દમણનો દરિયો તોફાની રહેવાની શક્યતા સેવાઇ રહી છે.આથી મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી.
અમરેલી-જાફરાબાદના દરિયામાં કરંટ
અમરેલી જિલ્લાના જાફરબાદના દરિયામાં 10થી 12 ફૂટના મોજા ઉછળ્યા હતા. જાફરાબાદના લાઈટ હાઉસ પાસે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. નોંધનિય છે કે, દરિયામાં તાઉતે વાવાઝોડા બાદ ફરી વાર કરંટ જોવા મળ્યો હતો. ભારે પવનના કારણે દરિયામાં તોફાની મોજાઓ ઉછળ્યા હતા.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
મહત્વનું છે કે, ગુજરાતના કેટલાંક બંદરો પર તંત્રએ 3 નંબરનું સિગ્નલ આપતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. આ સાથે 40થી 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ આગાહી કરી છે. રાજ્યમાં વેરાવળ બંદર, દમણના દરિયા કિનારે તેમજ મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, ભરૂચ અને દહેજ સહિતના બંદરો પર એલર્ટ પર હોવાથી બંદરો પર 3 નંબરના સિગ્નલ આપી દેવાયા છે. સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઇ છે.