પોક્સોની ફરિયાદમાં આરોપી સાથે સમાધાન ન કરતા જાતીય સતામણીનો ભોગ બનનાર સગીરાના પિતા સામે થરાદ પોલીસે હત્યાના પ્રયાસની એફઆઇઆર નોંધતા હાઇકોર્ટમાં અરજી કરાઇ. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે થરાદ પોલીસની ઝાટકણી કાઢી નાખી. ગુજરાત હાઈકોર્ટે થરાદ પોલીસ અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે.
હાઇકોર્ટે થરાદ પોલીસની ભૂમિકા સામે સખત નારાજગી દર્શાવી હતી. કોર્ટે તપાસના આદેશ આપ્યા બાદ ટકોર કરતા કહ્યું કે, 'પોલીસ અને ડૉક્ટરે ખોટું કર્યું. પોલીસ અધિકારી અને ડૉક્ટરને જેલમાં મોકલવામાં આવશે.' મહત્વનું છે કે, આરોપી બ્રિજેશ જેહાણીએ સગીરાના પિતા સામે કેસ કર્યો છે. આરોપીએ ખોટો કેસ કરી ઈજાનું બોગસ સર્ટિ પણ બતાવ્યું છે. આરોપીએ સગીરાની 2 વખત જાતીય સતામણી કરી હતી.
જાણો શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે, ભોગ બનનાર સગીરાના ભાઇ તરફથી એડવોકેટ ઉત્કર્ષ દવેએ સિનિયર રાહુલ શર્મા સાથે એવી રજૂઆત કરી હતી કે, બનાસકાંઠાના થરાદમાં સગીરા સાથે બે વખત જાતીય સતામણી કરનાર ચાર નરાધમોએ જ્ઞાતિના વડીલો દ્વારા સગીરાના પિતા સાથે સમાધાન કરવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ પિતાએ સમાધાન કરવાનો ઇન્કાર કરી દીધો. આથી બીજી વખત સગીરા સાથે સતામણી કરવામાં આવી.
આથી સગીરાના પિતાએ પોલિસ સ્ટેશનમાં પોક્સો હેઠળ એફઆઇઆર નોંધાવી હતી. 4 આરોપીઓ પૈકી ચોથા આરોપી બ્રિજેશ જેહાણીના પિતા બનાસકાંઠામાં હેલ્થ ઓફિસર છે. બ્રિજેશ જેહાણી સામે પોક્સોનો ગુનો નોંધાતા તેણે સગીરાના પિતા દ્વારા હુમલો થયો હોવાથી ઇજા પહોંચી છે તેવી ખોટી ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં અરજદારે હાઇકોર્ટમાં અરજી કરી હતી
જો કે આ ફરિયાદ બાદ અરજદારે CCTV કેમેરાના ફૂટેજ દર્શાવતા તેમાં કોઈ પણ જાતની મારામારી થઇ હોવાનું સાબિત ન હોતું થયું. તેમ છતાં બ્રિજેશ જેહાણીએ પિતા પાસે ખોટી રીતે ઇજાનું સર્ટિફિકેટ બનાવ્યું હતું. આથી આ કેસમાં અરજદારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેથી, હાઇકોર્ટે થરાદ પોલીસની ઝાટકણી કાઢતા એવી ટકોર કરી હતી કે, 'પોલીસ અને ડૉક્ટરે ખોટું કર્યું. પોલીસ અધિકારી અને ડૉક્ટરને જેલમાં મોકલવામાં આવશે.'