પશ્ચિમ યુપીના અમુક વિસ્તારમાં અત્યારે વાયરલ તાવનો કહેર છે. વધુ તાવના કારણે લોકોના મોત થઈ રહ્યાં છે. સ્વાસ્થ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ, છેલ્લાં એક અઠવાડિયામાં આગ્રા, ફિરોઝાબાદ, મથુરા, મૈનપુરી, એટા અને કાસગંજ જિલ્લામાં 50 લોકોના મોત વધુ તાવ, ડીહાઈડ્રેશન અને પ્લેટલેટ કાઉન્ટમાં અચાનક ઘટાડાના કારણે થયા છે.
પશ્ચિમ યુપીના અમુક વિસ્તારમાં અત્યારે વાયરલ તાવનો કહેર
છેલ્લાં એક અઠવાડિયામાં 26 બાળકો સહિત 50ના મોત
વાયરલ તાવમાં પશ્ચિમ યુપીના જિલ્લા સૌથી વધુ પ્રભાવિત
પૂર્વ યુપીમાંથી પણ વાયરલ તાવના ઘણાં કેસો સામે આવ્યાં
સ્વાસ્થ્ય અધિકારીઓએ એક ન્યૂઝ વેબપોર્ટલને જણાવ્યું કે, પૂર્વ ઉત્તર પ્રદેશમાંથી પણ વાયરલ તાવના ઘણાં કેસો સામે આવ્યાં છે. ગોંડા, બસ્તી, દેવરિયા, બલિયા, આજમગઢ, સુલ્તાનપુર, જોનપુર અને ગાજીપુરમાં લોકો વાયરલ તાવના ભરડામાં આવી ગયા છે. જોકે, પશ્ચિમ યુપીના જિલ્લા સૌથી વધારે પ્રભાવિત છે. આ સિવાય આગ્રામાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશના પાડોશી જિલ્લામાં પણ આ પ્રકારના લક્ષણોવાળા વાયરલ તાવના દર્દીઓ જોવા મળી રહ્યાં છે.
ગયા વર્ષે ઓછા આવ્યાં હતા વાયરલના કેસ
આરોગ્ય વિભાગના અધિકારી એકે સિંહે કહ્યું કે, ગયા વર્ષે વાયરલ તાવના ઓછા કેસ સામે આવ્યાં હતા. કારણકે લોકો ઘરમાં રહેતા હતા અને સ્વચ્છતા જાળવતા હતા. ભેજના ઉંચા પ્રમાણના કારણે પાણીજન્ય રોગો ઝડપથી ફેલાય છે.
ફિરોઝાબાદમાં 12 ટીમો કાર્યરત
ફિરોઝાબાદમાં અત્યાર સુધી સૌથી વધુ 25 લોકોના મોત થયા છે. ફિરોઝાબાદ સીએમઓ ડૉ. નીતા કુલશ્રેષ્ઠે કહ્યું કે, જે લોકોના વાયરલ તાવના કારણે મોત થયા છે. તેમાંથી કોઈ પણ દર્દી કોવિડ-19 પોઝીટીવ ન હતું. આ લોકો કેવીરીતે મોતને ભેટ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં તબીબો અને સ્વાસ્થ્ય કર્મચારીઓની 12 ટીમો અને દરેક સહાયક નર્સ અને આશા કાર્યકર્તાઓને આ કામમાં લગાવી દેવામાં આવ્યાં છે.