લોકસભાની ચૂંટણીનું એલાન થઇ ચૂક્યું છે. ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે તેમને કાયદાકીય અડચણોનો સામનો કરવો પડી શકે તેવી નોબત આવી છે. પરંતુ હાલ હાર્ઇકોર્ટની હાર્દિક પટેલને રાહત મળી છે. વિસનગર તોડફોડ કેસમાં સજા રદ કરવાની અરજી હાઇકોર્ટે સ્વીકારી છે. હાઇકોર્ટના જસ્ટિસ એ.યુ.ઉરેજીએ હાર્દિકની અરજી સ્વીકારી છે. રાજ્ય સરકારને એફિડેવિટ રજૂ કરવા માટે હાઇકોર્ટે આદેશ કર્યો છે. જ્યારે વધુ સુનાવણી 19 માર્ચના રોજ હાથ ધરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમયે એક રેલી દરમિયાન વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. જેને લઇને વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને દોષિત ઠેરવ્યા હતા.
ત્યારબાદ વિસનગર કોર્ટે 2 વર્ષની સજા પણ ફટકારી હતી. આ મામલે હાર્દિકે સજાને મોકૂફ રાખવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાર્દિક પટેલની વિસનગર કોર્ટની સજાનો હુકમ મોકૂફ રાખવાની અરજી મામલે અગાઉ હાઇકોર્ટમાં સુનાવણી ટળી હતી. જસ્ટિસ આર.પી.ઢોલરીયાએ 'નોટ બીફોર મી' કરી હતી. ત્યારે હાઇકોર્ટના જસ્ટિસ એ.યુ.ઉરેજીએ હાર્દિકની સજા રદ્ કરવાની અરજી સ્વીકારી છે. ત્યારે તેને લોકસભા ચૂંટણી દરમિયાન રાહત મળે તેવી સંભાવનાઓ છે.
શું હતો વિસનગર કેસ?
વિસનગર કોર્ટે ચુકાદામાં કલમ ૧૪૮ અંતર્ગત હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે અન્યને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટે હાર્દિક, લાલજી અને એકે પટેલને ૨ વર્ષની જેલ સજા ઉપરાંત ધારાસભ્યને ૪૦,૦૦૦નું વળતર આપવાનો હુકમ કર્યો હતો. સાથે-સાથે દોષિતોને ૫૦,૦૦૦નો દંડ ફટકારાયો હતો. પાટીદાર અનામત આંદોલન સમયે વર્ષ ૨૦૧૫માં વિસનગરના તત્કાલિન ધારાસભ્ય ઋષિકેશ પટેલને આવેદન આપવા માટે હાર્દિક પટેલ સહિતના પાટીદાર આગેવાનો ગયા હતા.
આ ઘટના સમયે ૫ હજાર જેટલા લોકોનુ ટોળુ એકઠુ થયુ હતું અને ટોળુ બેકાબૂ બનતા ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનામાં ટોળાએ એક કારને પણ સળગાવી હતી અને અન્ય જગ્યાએ તોડફોડ પણ કરી હતી. આ ઘટનામાં એક પત્રકારને પણ માર મારવામાં આવ્યો હતો. વિસનગર પોલીસે આ ઘટનામાં હાર્દિક, લાલજી સહિત ૧૭ લોકો પર કેસ દાખલ કર્યો હતો. ત્યાર બાદ તેમને 2 વર્ષની સજા અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.