કોરોના મહામારીમાં ગુજરાત રાજ્યની સ્થિતિ સતત વિકટ બનતા મામલો હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો હતો. કોરોના સ્થિતિને કાબૂમાં લેવા માટે સરકારે કેટલાક મહત્વના નિર્દેશ આપ્યા છે. આ નિર્દેશ તમે પણ ધ્યાનમાં રાખો જેથી સરકાર કોરોના સામે યોગ્ય પગલા ભરી રહી છે કે કેમ તે તમે પણ જોઈ અને જાણી શકો.
ગુજરાતમાં કોરોના સંકટ સામે સરકારની નબળી કામગીરી બાદ આખરે ગુજરાત હાઈકોર્ટે સરકાર સામે થયેલી PIL અને સૂઓમોટો સંદર્ભે સરકાર સામે લાલ આંખ કરી છે. મહાનગર અમદાવાદમાં કોરોના સંકટને કેવી રીતે નિયંત્રિત કરવો તે મુદ્દે હાઇકોર્ટે ગુજરાત સરકારને 20 ગાઈડલાઇન્સ એટલે કે ડાયરેક્શન્સ આપ્યા છે. આ 20 ગાઈડલાઇન્સ આ પ્રમાણે છે.
1. રાજ્યમાં કોરોના માટે ઉભા કરેલા હોટલ ક્વોરેનટાઈન સેન્ટરમાં હંમેશા તમામ સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સ હંમેશા તૈયાર હોવી જોઈએ જેથી આ સેન્ટરમાં કોઈ પણ દર્દીઓને જો કોઈ ઇમર્જન્સી થાય તો તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડી શકાય.
2. રાજ્યના જે તે વિસ્તારમાં સ્થાનિક ફીઝીશ્યન ડોકટરોની યાદી બનાવીને આ ડોકટરોને કોરોનાના વોર્ડમાં, કોવિડ હોસ્પિટલમાં અને ક્વોરેનટાઇન સેન્ટરમાં સેવા આપી શકે તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ. ખાસ કરીને એવા કન્ટેન્મેન્ટ ઝોનમાં જ્યાં દર્દીઓની સંખ્યા ઘણી વધારે છે ત્યાં આ વ્યવસ્થા થવી જોઈએ.
3. મીડિયાના અહેવાલો પ્રમાણે મહારાષ્ટ્ર સરકારે તમામ જનરલ ફિઝીશ્યન ડોકટરોને કાં તો તેમના પોતના દવાખાના ખોલી દેવા માટે અથવા કોવિડ હોસ્પિટલમાં સેવા આપવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ પોલિસી ગુજરાત સરકારે પણ અપનાવવી જોઈએ.
4. ખાનગી હોસ્પિટલોએ એડવાન્સમાં ફીની માંગણી દર્દીઓ પાસેથી ન કરવી જોઈએ અને દર્દીઓ પાસેથી ફક્ત આધાર કાર્ડ અને પાન કાર્ડની વિગતો જ માંગવી જોઈએ જેથી પાન કાર્ડની વિગત પરથી જાણી શકાય કે દર્દી ફીની ચુકવણી કરી શકે તેમ છે કે નહીં અને રકમ એ પ્રમાણે જ વસૂલવામાં આવે.
5. રાજ્ય સરકારને તાત્કાલિક વધુમાં વધુ સંખ્યામાં ટેસ્ટિંગ કીટ્સ ઉપલબ્ધ કરાવવા માટે આદેશ કરવામાં આવે છે જેથી ખાનગી લેબોરેટરી અને ખાનગી હોસ્પિટલો પણ સરકારી દવાખાનાના ભાવે કોરોનાનો ટેસ્ટ કરાવી શકે.
6. કોવિડ કેર સેન્ટર A (CCC A) આ સેન્ટરમાં એવા જોખમમાં રહેલા શંકાસ્પદ દર્દીઓને રાખવા જોઈએ જેઓ તેમના ઘરે સોશ્યલ ડિસ્ટન્સિંગ નથી કરી શકતા. આ સુવિધા હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય એ જરૂરી નથી. એક વાર શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ આવી જાય ત્યાર બાદ તેમને ડિસ્ચાર્જ કરી શકા અથવા જરૂરિયાત હોય તો ટેસ્ટ રિપીટ કરાવી શકાય.
7. કોવિડ કેર સેન્ટર B (CCC B) અહીં જેમને લક્ષણો નથી એવા દર્દીઓને અથવા માઈલ્ડ સિમપ્ટમ્સ છે એવા પોઝિટિવ દર્દીઓને રાખી શકાય છે. જેમની હાલત સ્થિર છે અને ફક્ત તાવ, ગળામાં ખારાશ, ગંધ લેવાની તકલીફ જેવા સામાન્ય લક્ષણ વાળા દર્દીઓ પણ અહીં રહી શકે છે.
8. દિવસ રાત નિયમિત એમ્બ્યુલન્સ, ICU ઓન વ્હીલ્સ, શબવાહિની જેવી ગાડીઓ પૂરતી સંખ્યામાં હોવી જોઈએ જેથી ઝડપી અને સુરક્ષિત હેરફેર થઇ શકે.
9. સરકારને એક કમ્પ્યુટર નિયંત્રિત કોવિડ કંટ્રોલ સેન્ટર બનાવવાનો આદેશ આપવામાં આવે છે. આ સેન્ટરમાં કોવિડને લગતી તમામ સુવિધાઓનો જે તે સમયનો ડેટા ઉપલબ્ધ હોવો જોઈએ. આ ડેટાબેઝ લોકો પણ જોઈ શકે તેવો જાહેર હોવો જોઈએ. રાજ્યની તમામ કોવિડ 19ની સુવિધાઓ કમ્પ્યુટરથી અને મોબાઈલથી આ કંટ્રોલ સેન્ટર સાથે કનેક્ટેડ હોવી જોઈએ અને તમામ ફરિયાદો અને સમસ્યાઓ સીધી કંટ્રોલ સેન્ટરમાં પહોંચવી જોઈએ.
10. કોઈ દર્દીએ એડમિટ થવા માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં ધક્કા ખાવા ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવે. આ સ્થિતિ ભૂતકાળમાં થઇ છે અને હજુ થઇ રહી છે. જે તે દર્દી કંટ્રોલ સેન્ટરને સંપર્ક કરીને તેને જરૂરી સેવાઓ અને જાણકારી મેળવી શકે.
11. કંટ્રોલ સેન્ટરની એક વેબસાઈટ બનાવવામાં આવે જેમાં અલગ અલગ પ્રવૃત્તિઓની માહિતીનું લખાણ હોય.
12. કોવિડ કેર સેન્ટર A (CCC A) અને કોવિડ કેર સેન્ટર B (CCC B)માં પૂરતી સંખ્યામાં મેડિકલ ઓફિસર્સ હોવા જોઈએ આ ઉપરાંત તેમના સુપરવિઝન માટે એક સિનિયર ફીઝીશ્યન ડોક્ટર પણ હાજર હોવા જોઈએ. તેમની સાથેના જરૂરી કોમ્યુનિકેશનથી ઘણા જીવો બચી શકે તેમ છે.
13. કોવિડ સેન્ટરો અને હોસ્પિટલોમાં ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ, એનેસ્થેટિસ્ટ, ચેપી રોગોના નિષ્ણાત, શ્વસનતંત્રના ડોક્ટર વગેરે જેવા ડોકટરોની હાજરી હોવી આવશ્યક છે. તેમની હાજરી જીવન અને મોતની પરિસ્થિતિને બદલી શકે તેમ છે.
14. એક ટ્રીટમેન્ટ પ્રોટોકોલ બનાવવાની જરૂર છે. આ પ્રોટોકોલ સ્થાનિક નિષ્ણાતો, કેન્દ્ર અને ICMRની ગાઇડલાઇન્સ, સ્થાનિક પરિસ્થિતિ, ઉપલબ્ધ સંસ્થાધનો અને ભૂતકાળના અનુભવોના આધારે ઘડવામાં આવશે અને તમામ કેન્દ્રોમાં આ પ્રોટોકોલ પાળવામાં આવે તેનું ધ્યાન રાખવામાં આવે.
15. તમામ કેન્દ્રોમાં એક સરકારી અધિકારી અધિકારી હાજર હોય. તે કંટ્રોલ સેન્ટરના સતત સંપર્કમાં રહીને પરિસ્થિતિનું ધ્યાન રાખે. ડિસ્ચાર્જ પોલિસીનું કડક અમલીકરણ થાય જેનાથી દર્દીઓએ કારણ વગર વધુ સમય હોસ્પિટલમાં રોકાવું ન પડે.
16. તમામ સરકારી હોસ્પિટલો જ્યાં 50થી વધુ પલંગ છે અને ICU ફેસિલિટી છે તેને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવે. અહીં 20% બેડ ઇમર્જન્સી માટે આરક્ષિત રાખીને અન્ય 80% બેડ ઉપર કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવે. આ માટે કંટ્રોલ સેન્ટર પાસેથી માર્ગદર્શન લેવામાં આવે અને કોરોના સિવાયના દર્દીઓઓ જોખમમાં ન મુકાય તેનું ધ્યાન રાખવામાં આવે.
17. તમામ સરકારી હોસ્પિટલના હાલના વડાની આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવાની જવાબદારી રહેશે. આ કામ કોઈ વિઘ્નો વિના થાય અને કંટ્રોલ સેન્ટરના સંપર્કમાં રહીને થાય તે જોવાની જવાબદારી જે તે વડાની રહેશે.
18. એક હોસ્પિટલનો વધારાનો સ્ટાફ બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર થઇ શકે તે માટે કંટ્રોલ સેન્ટર વ્યવસ્થા કરશે.
19. સરકારે તમામ કોરોના ફેસિલિટીમાં પોતાના ખર્ચે સારી ગુણવત્તાના N95 માસ્ક, સેનિટાઇઝર, સ્ટરાઇલ અને નોન સ્ટરાઇલ ગ્લવ્સ, PPE કીટ, વેન્ચ્યુરી અને હાઈ ફ્લો ઓસ્કિજન માસ્ક, વેન્ટિલેટર ટ્યુબીંગ, ફિલ્ટર જેવા મેદુઈકલ સાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવે.
20. તમામ હેલ્થકેર વર્કરનો ચોક્કસ સમયાંતરે નિષ્ણાતોને ઠીક લાગે તે રીતે ટેસ્ટ કરવામાં આવે. તેઓ સુરક્ષિત રહેશે તો જ દર્દીઓ સુરક્ષિત રહી શકશે.