ગુજરાત હાઇકોર્ટ દ્વારા વીજ ગ્રાહકોની તરફેણમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં મીટરભાડું મીટર સર્વિસ જેવી પૂરક સેવાઓ પર 18 ટકા જીએસટી રદ કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટના આ આદેશથી મીટર ભાડાં પરનો જીએસટી વીજળી કંપની લઈ શકશે નહીં અને જે ચાર્જ લીધો હશે તે પણ ગ્રાહકોને પરત કરવો પડશે.
વીજ કંપનીઓ દ્વારા વીજ ગ્રાહકો માટે જે જીએસટી વસુલ કરવામાં આવતી હતી તેને લઈને હાઇકોર્ટ અરજી થઇ હતી. જેમાં ટોરેન્ટ પાવરે વીજળી સપ્લાય ઉપરાંત મીટર ભાડું મીટરના ટેસ્ટિંગ ચાર્જિસ નવા કનેક્શનના એપ્લિકેશન ફી તેમજ ડુપ્લિકેટ બિલના સર્વિસ ચાર્જ ઉપર જીએસટી લાદતા કેન્દ્ર સરકારના પરિપત્રને હાઉકોર્ટમાં પડકાર્યો હતો. સરકાર પાવર ઉપર જીએસટી નથી નાખતી તો તેની આનુષાંગિક સેવા પર જીએસટી કઈ રીતે લાદી શકે? તેવી રજુઆતો સાથે ધારદાર દલીલો કોર્ટમાં કરાઈ હતી.
જો કે ગુજરાત હાઇકોર્ટે આ અપીલને ધ્યાને લઇને ચુકાદો આપતા અવલોકન કર્યું હતું કે પાવર સપ્લાય અને તેને લગતી આનુષાંગિક સેવાઓને મુક્તિ આપવી જોઇએ. જો મુખ્યસેવા પર જીએસટી ન હોય તો આનુષાંગિક સેવાઓ પણ જીએસટી મુક્ત હોવી જોઇએ. પાવર સપ્લાય કરતી કંપનીઓ અનુષાંગિક સર્વિસ પર જીએસટી લાગે તેવા નિર્ણય રદ કરતો ચુકાદો આપ્યો હતો.
આથી હવે વર્ષ 2012થી પાવર સપ્લાય કરતી કંપનીઓ દ્વારા ઉઘરાવામાં આવેલો સર્વિસ ટેક્સ અને ત્યાર બાદ જીએસટી લીધો હોય તે ગ્રાહકોને રિફંડ મળશે. આમ આ લાભ પાવર સપ્લાય કરતી કંપનીઓએ ગ્રાહકોને આપવો પડશે. તેવું હાઇકોર્ટે ચુકાદામાં ટાંક્યું હતું જેથી હવે વીજ ગ્રાહકોની તરફેણમાં ચુકાદો આવતા ગ્રાહકોમાં ખુશી જોવા મળી છે. જો કે આ ચુકાદાથી હવે સીધો ગ્રાહકોને તેના બીલ પર ફાયદો થશે તેમ કહી શકાય.