ઘરેલું વિવાદના એક કેસમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે જ્યાં સુધી બંન્ને વચ્ચે મનમેળ ન થાય ત્યાં સુધી પતિએ ઘર છોડી દેવું જોઈએ.
મદ્રાસ હાઈકોર્ટનો અનોખો ચુકાદો
સમાધાન સુધી પતિને ઘરની બહાર રહેવાનો આપ્યો આદેશ
પત્નીએ કહ્યું- પતિ સારો વ્યવહાર નથી કરતો
મદ્રાસ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ તેની સાથે સારો વ્યવહાર નથી કરતો. મહિલાએ કોર્ટમાં કહ્યું કે ઘણીવાર પતિ અનિયંત્રિત અને અત્યંત કઠોર હોય છે, જેના કારણે ઘરની શાંતિ ડહોળાય છે. હવે મહિલાની અરજી સ્વીકારતા કોર્ટે પતિને અન્ય જગ્યાએ ઘર શોધવાનો નિર્દેશ આપ્યો છે.
પતિને ઘરની બહાર જવાનો કર્યો આદેશ
ખાનગી ન્યૂઝના અહેવાલ અનુસાર, વ્યવસાયે વકીલ વી અનુષા પોતાના પતિ વિરુદ્ધ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી ચૂકી છે. છૂટાછેડાના સમાધાન સુધી પતિને ઘરની બહાર રાખવા માટે મહિલાએ ફેમિલી કોર્ટમાં જ અરજી કરી હતી. અરજીને આંશિક રીતે સ્વીકારતા કોર્ટે પતિને ઘરની બહાર રહેવાનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો. આ ચુકાદાથી નારાજ મહિલાએ હાઈકોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી.
સમાધાન ન થાય ત્યાં સુધી પતિને બીજે રહેવાનો આપ્યો આદેશ
સુનાવણી દરમિયાન જસ્ટિસ મંજુલાએ કહ્યું કે લગ્ન સફળ ન થવાને કારણે બંને વચ્ચે ઝઘડા થાય છે. પત્નીનો દાવો છે કે પતિ કઠોર છે, જેના કારણે ઘરમાં શાંતિ નથી. તે જ સમયે, પતિએ કહ્યું કે તે ખૂબ જ સારા પિતા છે અને તેની પત્ની ઘણીવાર બહાર ફરતી રહે છે. પતિના કહેવા પ્રમાણે તેણે ઘરમાં જ રહેવું જોઈએ અને બાળકોની સંભાળ રાખવી જોઈએ. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ જસ્ટિસ મંજુલાએ પતિને વિવાદનું સમાધાન ન થાય ત્યાં સુધી બીજે ઘર શોધવાનું કહ્યું છે.