ગુજરાતના એવા કેટલાય ગામડાઓ છે જયાં હજુ પણ શિયાળી કડકડતી ઠંડીમાં નાના ભૂલકાઓ શાળામાં બહાર ભણી રહ્યા છે કારણકે વર્ગખંડ જર્જરિત હોવાથી અંદર બેસાડાય તેમ નથી યા તો શાળાને પાડી દેવામાં આવી છે. છોટાઉદેપુર વાગલવાડમાં સ્કૂલ તૂટેલું બિલ્ડિંગ ફરી ન બનાવતા કોર્ટે ગંભીર નોંધ લીધી છે. ગઈ કાલ 16 ડિસેમ્બરે વડોદરામાં નેચરલ ફાર્મિંગ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું કે ‘અમે પણ શિયાળામાં ખુલ્લામાં જ ભણતા’ જે બાદ ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મુદ્દે HCએ સુઓમોટો કરી હતી.
છોટાઉદેપુરના વાગલવાડાની સ્કૂલનું બિલ્ડિંગ ધ્વસ્ત થયા બાદ વિદ્યાર્થીઓની ખુલ્લામાં ભણી રહ્યા હતા જે સ્થિતિ અંગે શિક્ષણમંત્રી વાઘાણીએ આપેલા 'અમે પણ શિયાળામાં ખુલ્લામાં જ ભણતા' નિવેદનને હાઇકોર્ટે શરમજનક ગણાવ્યું છે.એક અંગ્રેજી છાપામાં છોટાઉદેપુર જિલ્લાની ગલવાડમાં સ્કૂલ વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા હોવાનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે જે બાદ જસ્ટિસ પારડીવાલા અને નિરલ મહેતાની ખંડપીઠે ગંભીર નોંધ લેતાં સુઓમોટો દાખલ કરી હતી. અને સુનાવણીમાં અધિકારીને કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહી રિપોર્ટ આપવા આદેશ કર્યો છે તેમજ હાઇકોર્ટે જીતુ વાઘાણીના ‘અમે પણ શિયાળામાં ખુલ્લામાં જ ભણતા’ નિવેદન શરમજનક ગણી રાજ્ય સરકારને નોટીસ આપી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
જીતુ વાઘાણીએ શું કહ્યું હતું?
16 ડિસેમ્બરના રોજ વડોદરામાં નેચરલ ફાર્મિંગ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદીના વર્ચ્યૂઅલ સંબોધનમાં હાજરી આપવા આવેલા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને પત્રકારોએ પૂછ્યું હતું કે છોટાઉદેપુર વાગલવાડા ગામની સ્કૂલનું બિલ્ડિંગ ચોમાસામાં પડી ગયા બાદ હજુ તેને બનાવવામાં આવ્યું નથી,તેના જવાબમાં વાઘાણીએ જણાવ્યું કે, જ્યાં સ્કૂલના ઓરડાઓની માંગણી થઈ છે ત્યાં મજૂરી અને અન્ય કાર્યવાહીઓ થઈ રહી છે, કેટલીક વાર શિયાળામાં ખુલ્લામાં બેસાડવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકારે બેસવાની વ્યવસ્થા અને જ્યાં ઓરડા નથી ત્યાં એ ગામોમાં પણ વ્યવસ્થા કરી આપી છે. શિયાળામાં હું પણ ભણતો હતો, ત્યારે ખુલ્લામાં વિદ્યાર્થી તરીકે બેસતો હતો. આ મુદ્દાને અલગ રીતે જોવાની આવશ્યકતા નથી.
ખુલ્લામાં ભણવા માટે મજબૂર બને એ ચલાવી લેવાય નહિ:હાઈકોર્ટ
હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે 'શિયાળાની ઠંડીમાં સ્કૂલની તૂટેલી બિલ્ડિંગને કારણે બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર બને એ ચલાવી લેવાય નહિ, કારણ કે ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઠંડીથી બચવા માટે પૂરતાં કપડાં પણ હોતા નથી' ત્યારે 2020માં વરસાદને કારણે સ્કૂલનું બાંધકામ તૂટી ગયું હતું જે બાદ શિક્ષણ વિભાગ પાસે નવી ઈમારત બનાવવા માંગણી પણ કરવામાં આવી હતી પણ શિક્ષણ વિભાગની ઉદાસીનતાને કારણે હાલ બાળકોને ખુલ્લામાં બેસી ભણવાનો વારો આવ્યો છે જે સાંખી લેવાય તેમ નથી આથી હાઈકોર્ટે સમગ્ર મામલે કડક રૂખ અપનાવી જવાબ રજૂ કરવા તેમજ યોગ્ય વ્યવસ્થા કરવા આદેશ કર્યો છે.