ગાંધીનગરઃ બીજેપી હાઈકમાન્ડ દ્વારા અચાનક જ પ્રદેશના નેતાઓને દિલ્હી બોલાવી મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં કેટલાક નવા કાર્યક્રમ યોજવામાં આવ્યા. આગામી લોકસભા ચુંટણીને લઈને કેટલાક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. સાથે જ પ્રદેશની લોકસભા સમિતિની જેમ હવે જીલ્લા લેવલે પણ આવી જ સમિતિનું આયોજન કરવામાં આવશે. નવા કાર્યક્રમના ફોલો અપ લેવા માટે ૧૫ નવા કોલ સેન્ટર બનાવવા માટે સુચના આપવામાં આવી છે.
બેઠક બાદ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે
ગુજરાત પ્રદેશ લોકસભા સમિતિની બેઠક ગઈકાલે દિલ્હી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં મળી હતી. જેમાં આગામી લોકસભા ચુંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ કેટલાક મહત્વના મુદ્દાને લઈને નિર્ણય પણ કરવામાં આવ્યા હતા. બેઠક બાદ આજે પ્રભારી ભુપેન્દ્ર યાદવ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જેમાં રાજ્યની ૨૦ લોકસભા વિસ્તારની મુલાકાત લઇ સ્થાનિક સ્તરે સમીક્ષા કરશે અને તેનો રીપોર્ટ દિલ્હી હાઈકમાન્ડને સોપશે. જેની જો વાત કરવામાં આવે તો તમામ ચાર ઝોન મુજબ બેઠકોની સમીક્ષા કરવામાં આવશે.
બેઠકમાં મહત્વની બાબતે નિર્ણય
તો ગઈકાલે યોજાયેલી બેઠકમાં મહત્વની બાબતે નિર્ણય કરવામાં આવ્યો. જેમાં કેટલાક નવા કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યા છે. તેના પર કામગીરી કરવા માટે કડક શબ્દમાં સુચના આપવામાં આવી છે. જેની જો વાત કરવામાં આવે તો રાજ્યની લોકસભાની કમિટી પ્રમાણે જિલ્લાની લોકસભા કમિટીઓ આગામી દિવસમાં બનાવવામાં આવશે.
ઘર ઘર સંપર્ક યોજના ભાજપ દ્વારા હાથ ધરવામાં આવશે
દરેક લોકસભામાં બહારની સીટના પ્રભારીની નિમણૂક કરવામાં આવશે. રાજસ્થાન અને મ.પ્રદેશની ચૂંટણીઓમાં ગુજરાતના નક્કી કરેલા કાર્યરતો જશે. 15 દિવસ માટે 6 ટીમ સ્વરાજના વિચાર સાથે પદયાત્રા કરશે. પશ્ચિમ બંગાળમાં અમિત ઠાકર પ્રદીપસિંહ વાઘેલા યાત્રામાં પૂર્ણ સમય ધ્યાન આપશે. 15 જેટલા કોલ સેંટર ઉભા કરશે. જે ચૂંટણી સુધી કાર્યરત રહેશે. ઘર ઘર સંપર્ક યોજના ભાજપ દ્વારા હાથ ધરવામાં આવશે. કેન્દ્રના કેટલાક કાર્યક્રમોની રચના બની રહી છે. જેની માટે એક સંયોજક અને 2 સહસંયોજકની નિમણૂક કરશે. તેમ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
લોકસભા સીટ મુજબ થશે નવા ફેરફાર
સુત્રોની જો વાત માનીએ તો ગઈકાલની બેઠકમાં કેટલાક નેતાઓ છે તેનો ઉધડો પણ લેવામાં આવ્યો હતો. અનેક કડક શબ્દમાં સૂચનો કરવામાં આવ્યા હતા. તો લોકસભા સીટ મુજબ નવા ફેરફાર કરવા માટે પણ સુચન કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્તરે ટીમ મજબૂત થાય તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશના માળખામાં છેલ્લા ઘણા સમયથી ફેરફાર થયો નથી. સીનીયર જુનીયર નેતાઓ વચ્ચે અહમના મુદ્દા પણ બને છે જેને લઈને સંગઠનમાં બધું જ ઠીક નથી ત્યારે કેટલાક ફેરફારો થવાની શક્યતાઓ રહેલી છે.