ગુજરાતની દરિયાઈ સીમાને હાઈ એલર્ટ પર મુકવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા દરિયાઈ સીમામાં હુમલો થઈ શકે છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
આ સાથે દરિયાઈ વિસ્તારની નજીકના ગામડાઓમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દરિયાઈ સીમામાં નેવી દ્વારા પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે, પુલવામાં આતંકી હુમલાની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાને પોતાનો પક્ષ ઊંચો રાખવા માટે ભારતીય સરહદ પર વિમાની હુમલો પણ કરી લીધો છે. આવા પ્રહાર સામે પ્રહારના માહોલમાં રાજ્યની પાકિસ્તાનને સ્પર્શતી કચ્છ સરહદ પર લશ્કરી હિલચાલ વધારી દેવામાં આવી છે.
કચ્છનાં પ્રવાસન સ્થળો પર BSFના જવાનો તૈનાત કરી દેવાયા છે. કાળા ડુંગર ખાતે BSF ચોકી પર જવાનો તૈનાત છે. સાથે હવાઇ વિસ્તારમાં નજર રાખવા માટે એર સર્વેલન્સ ટાવર પણ ઉભા કરી દેવાયા છે. યુદ્ધ જેવી સ્થિતિને લઇ ડુંગર પરથી સરહદી વિસ્તારનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કચ્છના કાળા ડુંગર પરથી સફેદ રણ સહિતના વિસ્તારોનું બીએસએફ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.