પંજાબના પઠાણકોટ, ગુરદાસપુર અને બટાલામાં આતંકવાદી હુમલાના ઈનપુટ્સને ધ્યાનમાં રાખીને એલર્ટ જારી કરી સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. ગઈ કાલથી જ ત્રણેય સ્થળોએ સુરક્ષાદળો દ્વારા ત્રણ દિવસીય વિશેષ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. ૧૩ ઓક્ટોબર સુધી ચાલનારા આ ઓપરેશનમાં એ ગનમેન અને તાલીમાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ સેવાથી અલગ થઈ ગયા છે.
પઠાણકોટમાં આતંકવાદી હુમલાને લઈને હાઈ એલર્ટ
3 સ્થળોએ સુરક્ષાદળો દ્વારા 3 દિવસનું સર્ચ ઓપરેશન શરૂ
ત્રણ વિસ્તારમાં ઉચ્ચ પોલીસ અધિકારી તહેનાત
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ત્રણેય વિસ્તારમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તહેનાત કરવામાં આવ્યા છે. પઠાણકોટમાં એસપી રેન્કના ૪૫ અધિકારીઓ, ગુરદાસપુરમાં ૩૩ અને બટાલામાં ૨૨ એસપી તહેનાત કરાયા છે. આ ઉપરાંત બટાલામાં ૫૦, ગુરદાસપુરમાં ૯૨ અને પઠાણકોટમાં ૧૩૦ ડીએસપીને પણ આ અભિયાનમાં જોડવામાં આવ્યા છે.
બટાલામાં ૧૦૮ અને ગુરદાસપુર તથા પઠાણકોટમાં ૧૨૫ ઈન્સ્પેક્ટર અને ત્રણેય વર્તુળોમાં કુલ ૧૯૭ સબ ઇન્સ્પેક્ટર પણ કાર્યરત છે. આ રીતે ગુરદાસપુરમાં ૩૬૦, પઠાણકોટમાં ૩૭૯ અને બટાલામાં ૨૬૭ અધિકારીઓ તહેનાત છે. આ અધિકારીઓને ચાર હજારથી વધુ પોલીસ જવાનો પણ પૂરી પાડવામાં આવ્યા છે.
પઠાણકોટમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા પહેલા આઈજી પરમાર અને એસએસપી પઠાણકોટ દીપક હિલોરીએ લમીની સ્થિત સ્ટેડિયમમાં આશરે ૨૪૦૦ કર્મચારીઓ અને અધિકારીઓને સંબોધન કર્યું હતું. બીજી તરફ ડીસી રામબીરે સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર અને ઇમરજન્સી વોર્ડ ખાલી કરાવવા, ૨૦ બેડ અનામત રાખવા, દવાઓ અને બ્લડ યુનિટ્સની સંપૂર્ણ વ્યવસ્થા તૈયાર રાખવાના આદેશ આપ્યા હતા. ત્રણ મોટી ખાનગી હોસ્પિટલોને પણ દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવા જણાવાયું છે. આ ઉપરાંત ૧૦૦થી વધુ બસો ખાલી રાખવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.