અમરાઈ વાડીના ભીલવાડામા છનાશેઠની ચાલીમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી ચલાવી લૂંટ. તો રાજકોટમાં પણ રેલનગર વિસ્તારના રહેણાંક વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો
અમદાવાદ અને રાજકોટમાં લુખ્ખા તત્વોએ મચાવી ધમાલ, પોલીસનો ડર જ ન હોય તેમ મચાવ્યો આતંક
ગુજરાતની બડકમદાર પોલીસ અત્યારે રાત્રી કર્ફ્યુનું પાલન કરાવામાં ચુસ્ત બંદોબસ્તમાં છે. જરૂર પડે તો હોટેલ -રેસ્ટોરન્ટમાં નિયત સંખ્યામાં જ ગ્રાહકો બેઠા છે કે કેમ ? તે બધી તપાસમાં પડી હોય,લુખ્ખા તત્વોને તો જાણે ખુલ્લું મેદાન મળી ગયું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોની રંજાડથી થરથરી રહ્યું છે.ત્યારે શહેર પોલીસ, રાત્રીના આવતા-જતા વાહનોની પૂછ પરછ અને ગાડી નંબર નોંધવા જેવી કાર્યવાહીમાં વ્યસ્ત છે.
અમદાવાદમાં અમરાઈવાડીની ઘટના
અમરાઈ વાડીના ભીલવાડામા છનાશેઠની ચાલીમાં અસામાજિક તત્વોની હેરાનગતિ સામે આવી છે.જેમાં 10થી વધુ શખ્સોએ મકાનોમાં તોડફોડ કરી નુકસાન કર્યુ હતું. મહિલાએ ગાળાગાળી ન કરવાની કહેતા તોડફોડ કરી, રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આટલું ઓછું હોય તેમ ઘરની બહાર આવેલા વીજ મીટરમાં પણ તોડફોડ કરી અંધાર પટ સર્જી દીધો હતો. આ ઘટનાની જાણ સ્થાનિકોએ કરી છતાં પણ, હંમેશા નાગરિકોની મદદ માટે તત્પર રહેતી પોલીસ ઘટના સ્થળ પર આવી તપાસે કરવાની તસદી સુદ્ધા નહોતી લીધી.
બીજી તરફ, રાજકોટમાં પણ અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. રેલનગર વિસ્તારના રહેણાંક વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે.. શ્યામજી કૃષ્ણ વર્મા આવાસ યોજનાના ફ્લેટમાં દરવાજા બહારથી બંધ કરી રહીશોને હેરાન કર્યા હતા. દરવાજા બંધ કરીને ફ્લેટ બહાર બૂટ-ચપ્પલમાં આગ લગાવી હતી. બૂટ-ચપ્પલમાં આગ લગાવી અસામાજિક તત્વો ફરાર થઇ ગયા હતા. રોષે ભરાયેલા રહીશોએ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.