કાશ્મીરના પુંછ વિસ્તારમાં આતંકીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાનાં પાંચ જવાનો શહીદ થઈ ગયા હતા. જેમાં પંજાબના ગજ્જન સિંહનો પાર્થિવ દેહ ત્રિરંગામાં લપેટાઈને વતન પહોંચ્યો હતો.
પત્ની અને પરિવારનાં હૈયાફાટ રૂદનને કારણે વાતાવરણમાં શોકનો માહોલ છવાયો
આજે શહીદ ગજ્જન સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પણ તે અગાઉ ગજ્જન સિંહના પત્ની અને પરિવારનાં હૈયાફાટ રૂદનને કારણે વાતાવરણમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને ત્યાં ઉપસ્થિત તમામ લોકોની આંખો ભરાઈ આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગજ્જન સિંહના આઠ મહિના પહેલાં જ લગ્ન થયા હતા. ત્રિરંગામાં લપેટાઈને પતિ ઘરે આવતાં જ પત્ની તેમનાં પાર્થિવ દેહને ભેટીને જોર જોરથી કહી રહી હતી કે, 'ઓય, ઉઠ જા... મેંનું દેખ લે એક વારી...'.
આઠ મહિના પહેલાં જ ફેબ્રુઆરીમાં થયા હતા લગ્ન
આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલાં ગજ્જન સિંહ પંજાબના રુપનગરમાં પરચંદા ગામના રહેવાસી છે. ગજ્જન સિંહ સેનાની 23 સિખ રેજિમેન્ટમાં તહેનાત હતા. આઠ મહિના પહેલાં ફેબ્રુઆરીમાં તેમના લગ્ન હરપ્રીત કૌર સાથે થયા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર 13મી ઓક્ટોબરના રોજ તે 10 દિવસની રજા લઈને ગામ આવવાના હતા, પરંતુ દુર્ભાગ્યવશ તેમનો પાર્થિવ દેહ ત્રિરંગામાં લપેટાઈને ઘરે આવ્યો હતો.
શહીદ ગજ્જનની સિંહની પત્ની એક જ જીદ 'તું બસ મને એક વાર જોઈ લે'
બે મહિના પહેલાં જ ગજ્જન સિંહ પોતાના ભાઈના લગ્ન માટે ઘરે આવ્યા હતા. મંગળવારે ગજ્જન સિંહનો પાર્થિવ દેહ તેઓનાં પૈતૃક ગામમાં લાવવામાં આવ્યો હતો. અને આજે તેઓનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમયે તેમનાં પત્ની બસ એક જ વાત કરી રહ્યા હતા કે, 'તું ઉઠી જા, અને મને એક વાર તો જોઈ લે.'
ગજ્જન સિંહના પિતા પણ ભારે આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા. તેમનું સમજાતું ન હતું કે, તેઓ પોતાને સંભાળે કે પછી પોતાની પુત્રવધુને. ભારે હૈયા સાથે તેમણે પોતાના પુત્રને અંતિમ વિદાય આપી હતી. તો બીમાર માતાને છેલ્લી વખત પણ દીકરાનો ચહેરો જોવા મળ્યો ન હતો, કેમ કે તે બીમાર હોવાને કારણે હજુ સુધી પણ પુત્રના શહાદતની ખબર આપવામાં આવી નથી.
ગજ્જન સિંહ ટ્રેક્ટર પર હરપ્રીતને લાવ્યો હતો
ફેબ્રુઆરીમાં જ્યારે ગજ્જન સિંહના લગ્ન હતા, ત્યારે તેમણે તેમના સરઘસમાં ખેડૂત ધ્વજ લીધો હતો. લોકો જણાવે છે કે ગજ્જન પોતાની કન્યાને ટ્રેક્ટર પર લાવ્યો હતો. સિંહ સોમવારે પૂંછમાં આતંકવાદીઓ સામે લડતા શહીદ થયેલા પાંચ જવાનોમાંનો એક હતો.