આ મંદિરમાં કોઈ દેવી-દેવતા નહીં પરંતુ એક ભૂત બિરાજમાન છે. અહીં લોકો આજે તેની પૂજા કરે છે. દૂર-દૂરથી પોતાની મન્નતો પુરી કરવા માટે આવે છે
ભૂતની વીર ગાથા, બાબરા ભૂત બન્યો બાબરીયા વીર
દૂર-દૂરથી દર્શનાર્થે આવે છે લોકો
સંતાન પ્રાપ્તિની માનતા અહીં થાય છે પૂર્ણ
એક સમયે બાબરા ભૂતથી ડરતા હતા લોકો
આજે ભૂતની બાબરીયા વીર તરીકે થાય છે પૂજા
આસ્થા અમર છે અને આસ્થા ભલભલા માણસના દુ:ખોને દુર પણ કરી શકે છે. પરંતુ આજે એક ભૂતની વાત કરવી છે. એવું ભૂત કે જેનાથી લોકો એક સમયે ડરતાં હતાં પરંતુ આજે તેને વીરની જેમ પૂજે છે. આ મંદિર બીજે ક્યાંય નહીં પરંતુ આપણા ગુજરાતમાં જ આવેલું છે. ત્યારે કેવી રીતે એક ભૂત બન્યું વીર અને શું છે તેની કહાની. આવો જાણીએ આ રિપોર્ટમાં.
ભારત આસ્થામાં માનનારો દેશ છે અને આજે પણ લોકો આસ્થા પર ભરોસો કરે છે. પરંતુ કોઈ જગ્યા પર ભૂતનું નામ પડે તો ? તમે તે રસ્તા પરથી પસાર થતાં પહેલાં 100 વખત વિચારશો અને તેમાં રાત પડી ગઈ તો તમે તે રસ્તો પણ બદલી કાઢશો. કારણ કે, ભાઈ ભૂતથી તો ભલભલાને ડર લાગે. ભલે પછી જિંદગીમાં ક્યારેય ભૂત જોયું પણ ન હોય.
અરવલ્લી જિલ્લાના લીંભોઈ ગામે આવેલા આ મંદિરમાં કોઈ દેવી-દેવતા નહીં પરંતુ એક ભૂત બિરાજમાન છે. અહીં લોકો આજે તેની પૂજા કરે છે. દૂર-દૂરથી પોતાની મન્નતો પુરી કરવા માટે આવે છે. આવા સવાલો તમારા મનમાં ચોક્કસથી થતાં હશે. પરંતુ આ દ્રશ્યો જોયા બાદ તમને પણ વિશ્વાસ નહીં આવે. કારણ કે, એક ભૂતના મંદિરે લોકો પૂજા-અર્ચના કરી રહ્યાં છે.
વૃક્ષ નીચે બાબરા ભૂતનો વાસો હતો
સત્ય જાણવા માટે અમારા સંવાદદાતાએ સ્થાનિક લોકો પાસે મંદિરનો ઈતિહાસ જાણવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે વર્ષો પહેલા અહીં ખેતરના શેઢે આવેલા સાગના વૃક્ષ નીચે બાબરા ભૂતનો વાસો હતો. આ વિસ્તારમાંથી નિકળતા ખેડૂતો અને રાહદારીઓ પણ ધોળા દિવસે ડરતા હતા.
બાબરાભૂત ની વિધિ-વિધાન પૂર્વકની આરાધના કર
આ તરફ જે તે વડીલોએ સાગના વૃક્ષ નીચે બિરાજમાન બાબરા ભૂતની પૂજા-અર્ચના કરી અને બાબરભૂત ની વિધિ-વિધાન પૂર્વકની આરાધના કરી હતી. ત્યારબાદ બાબરા ભૂત નું નાનું મંદિર બનાવી ખેડૂતોએ નિયમ કર્યો કે, આ વિસ્તારમાં જે કોઈ ખેતરમાં પાક થશે તે પાકમાંથી મુઠી ભર પાક બાબરાવીર ને ધરાવ્યા બાદ પાક ઘરે લઈ જવો. ત્યારથી આ પરંપરા ચાલુ રહી છે. અત્યારે પણ ખેડૂતો પાકનો ભોગ મંદિરે ધરાવે છે. બાબરાવીર ને પ્રસાદ અને નૈવેધ સ્વરૂપે સુખડી, શ્રીફળ અને સિગારેટ ધરાવવામાં આવે છે. દિવાળી અને નવરાત્રિના દિવસોમાં આ મંદિરે મોટા મેળાવડા પણ થાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.
સંતાન પ્રાપ્તિ ની માનતા અહીં થાય છે પૂર્ણ
એક સમયે અહીં લોકો બાબરા ભૂતથી ડરતાં હતાં. આજે તે જ લોકો આ ભૂતને બાબરીયા વીર પૂજે છે. બાબરીયા વીર પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે.અહીં એવું પણ કહેવાય છે કે, સંતાન પ્રાપ્તિની માનતા પણ અહીં પૂર્ણ થાય છે.
આમ બાબરીયા વીર અનેક દુ:ખિયાઓના દુ:ખ દૂર કરે છે તેવું ગ્રામજનોનું માનવું છે. શ્રદ્ધાળુઓ પોતાની મન્નત પૂર્ણ થવા પર બાબરીયા વીર ને નૈવેધ ધરાવવા મટે દૂરદૂરથી અહીં આવે છે. આમ એક ભૂતને આજે મંદિરમાં બિરાજમાન કરી લોકોએ તેને વીર બનાવી દીધો છે અને તે બાબરીયા વીર આજે આસ્થાનું ધામ બની ગયું છે.