યુનેસ્કો દ્વારા ગત સપ્ટેમ્બર ર૦૧૭માં ગુજરાતના અમદાવાદને દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. છેલ્લાં બે વર્ષથી ' હેરિટેજ સિટી અમદાવાદ'નાં ગાણાં ગાતા સત્તાધીશો થાકતા નથી. પરંતુ કોટ વિસ્તારના હેરિટેજ મકાનોનાં અસ્તિત્વ સામે ખતરો મંડરાયો છે. મોટા પાયે કોમર્શિયાલાઇઝેશન થવાથી કુલ રર૩૬ હેરિટેજ મકાન પૈકી ૩પ ટકા મકાનમાં વાયોલેશન થયું હોવાનો નિખાલસ એકરાર ખુદ AMC તંત્ર કરે છે.
1 હજાર વર્ષ જુના કર્ણમુક્તેશ્વર મંદિરને તંત્ર ક્યારે હેરિટેજ જાહેર કરશે
અમદાવાદને કર્ણાવતી બનાવવું છે પણ કર્ણાવતીની એકમાત્ર ધરોહર કર્ણમુક્તેશ્વર મંદિરનું શું?
સત્તાધીશો આજથી ર૬ નવેમ્બર સુધી 'હેરિટેજ વીક' ઉજવવાની ઔપચારિકતા નિભાવશે
ભાજપનું કર્ણાવતી માત્ર વિઝિટિંગ કાર્ડમાં જ...
આમ હેરિટેજ વારસાને જાળવામાં સત્તાવાળાઓ ગંભીર નથી બીજી તરફ 'કર્ણાવતી' તરીકેની ઓળખ જે અતિ પ્રાચીન કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી આ શહેરને મળી છે તે મંદિર જ તંત્રના હેરિટેજ લિસ્ટમાં નથી. આમ તો શાસક ભાજપ પક્ષના અનેક ઉચ્ચ હોદ્દેદારો અમદાવાદનો પોતાના લેટરહેડ, વિઝિટિંગ કાર્ડ સહિતના જનસંપર્ક માટેના સાહિત્યમાં ખુલ્લેઆમ 'કર્ણાવતી' તરીકે ઉલ્લેખ કરે છે. અનેક તો કર્ણાવતીના મામલે અતિરેક કરતા જોવા મળે છે. અગાઉ વર્ષ ર૦૧૮માં શહેરનું નામ બદલીને 'કર્ણાવતી' કરવાનો વિવાદ પણ ગાજ્યો હતો.
કર્ણાવતીનો વિવાદ રાજ્ય સરકારે ભીનો સંકેલી લીધો
જે તે વખતે દિવાળીના દિવસોમાં અમદાવાદ કર્ણાવતી તરીકે ઓળખાશે તેવી રાજ્ય સરકાર તરફથી જાહેરાત પણ કરાતાં સમગ્ર ગુજરાતમાં આ બાબત ચર્ચાસ્પદ બની હતી અને અમદાવાદ તરફી અને કર્ણાવતી તરફી બે છાવણી ઊભી થવાની સાથે શહેરને 'આશાવલ' નામ આપવાની માગણી ઉગ્ર બની હતી. જો કે શહેરનું નામ કર્ણાવતી કરવાનો વિવાદ દિન-પ્રતિદિન ઉગ્ર થતાં આ મામલે ભીનું સંકેલાયું હતું. ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે અનેક શહેરનાં નામ બદલતા રાજ્ય સરકારને પણ અમદાવાદનું નામ બદલવાની ચાનક ચડી હતી.
1 હજાર વર્ષ જુનુ કર્ણમુક્તેશ્વર મંદિર હેરિટેજ કેમ નહીં?
જોકે સારંગપુર દરવાજા બહાર આવેલા આશરે ૧૦૦૦ વર્ષ જૂના કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર 'હેરિટેજ' જાહેર કરવાનો મામલો પણ તે સમયે ગાજ્યો હતો. તંત્ર દ્વારા કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરને હેરિટેજ મોન્યુમેન્ટલ જાહેર કરાશે તેવું આશ્વાસન પણ અપાયું હતું. પરંતુ આજે પણ શહેરની અસ્મિતાનું પ્રતિક સમાન આ શિવમંદિર મ્યુનિસિપલ સત્તાવાળાઓની દૃષ્ટિએ ઐતિહાસિક ધરોહર નથી.
AMC દ્વારા હેરિટેજ સપ્તાહની ઉજવણી
આજે તા.૧૯ નવેમ્બર હોઇ સત્તાધીશો આગામી તા.ર૬ નવેમ્બર સુધી સરદાર પટેલ ભવન, શહેરના દરવાજા, એલિસબ્રિજ, ગાંધીબ્રિજ, વગેરેને રોશનીથી ઝળહળતાં કરશે. હેરિટેજ વોકમાં મ્યુનિસિપલ શાળાનાં બાળકોને જોડશે, સેમિનારનું આયોજન જેવા ઔપચારિક અને રાબેતા મુજબના કાર્યક્રમો કરશે પરંતુ કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર કેમ હજુ સુધી હેરિટેજ જાહેર કરાયું નથી તે જાણવાની તસ્દી લેશે નહીં.
મેયર માત્ર વાતો કરે છે, હવે હેરિટેજની આશા કોની પાસે
ખુદ મેયર બીજલબહેન પટેલ પણ હેરિટેજ લિસ્ટમાં હિંદુ અને જૈન મંદિર, દેરાસર સહિતનાં સ્થાપત્યો ઓછાં હોઇ મ્યુનિસિપલ હેરિટેજ વિભાગને ખાસ સર્વે કરી આવા સ્થાપત્યોની અલગ યાદી તૈયાર કરાશે. તેવી જાહેરાત કરી ચૂક્યાં છે. આ માટે હેરિટેજ વિભાગને ખાસ પત્ર લખશે તેવી તૈયારી પણ તેમણે દાખવી હતી. પરંતુ હેરિટેજ વિભાગનાં સૂત્રો કહે છે, હજુ સુધી મેયરનો આવો કોઇ પત્ર આવ્યો નથી ! બીજી તરફ મેયર હવે કહે છે, આ મામલો હેરિટેજ કન્ઝર્વેશન સમિતિનો છે. એ જે હોય તે, કર્ણાવતીનો વિવાદ ગાજતો કરનાર ભાજપના સત્તાધીશો કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરને હજુ હેરિટેજ જાહેર કરી શક્યા નથી તે બાબત આશ્ચર્યજનક જ છે !