દુનિયાના 160 દેશોના પર્યટકો માટે ભારત ફ્લેક્સિબલ ઈ-ટૂરિસ્ટ વિઝા વ્યવસ્થા લાગુ કરવા જઇ રહ્યું છે.
આ વ્યવસ્થા પર્યટકોના આગમનની સંખ્યા પર આધારિત હશે, જેના હેઠળ પર્યટકોને જુલાઇથી માર્ચની વચ્ચે વ્યસ્તતાવાળા મહિનામાં વધુ, જ્યારે એપ્રિલથી જૂનની વચ્ચે ખાલી મહિનામાં ઓછી ફી આપવી પડશે.
30 દિવસથી પાંચ વર્ષ સુધી જારી થતા વિઝા માટે 10થી 80 અમેરિકી ડોલર (લગભગ 716 થી 5731 રૂપિયા) સુધીની ફી લેવાશે.
ભારત તરફથી ઇ-વિઝાની સુવિધા ઉપલબ્ધ કરનાર 160 દેશોના પર્યટકોને વ્યસ્ત ન હોય તેવા દિવસોમાં 30 દિવસ માટે 716, જ્યારે વ્યસ્તતાવાળા દિવસમાં 30 દિવસ માટે 1791 રૂપિયા ચૂકવવા પડશે. આ જ પ્રકારે એક વર્ષના ઇ-વિઝા માટે 2865 રૂપિયા અને પાંચ વર્ષ માટે 5731 રૂપિયા આપવા પડશે.
જાપાન, સિંગાપોર અને શ્રીલંકાના પર્યટકોએ એક અને પાંચ વર્ષના ઇ-વિઝા માટે 1791 રૂપિયા ચૂકવવા પડશે. ભારતે જે 160 દેશોના પર્યટકોને ઇ-વિઝાની સુવિધા આપી છે તેમાં અમેરિકા, બ્રિટન અને રશિયા સામેલ છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ઉત્તર કોરિયાના દેશોને ટૂરિસ્ટ ઇ-વિઝાની સુવિધા આપવામાં આવી નથી.
રાજ્ય સરકારના પર્યટન વિભાગ સાથે જોડાયેલા પ્રતિનિધિઓની બેઠકની શરૂઆત કરતાં કેન્દ્રીય પર્યટન પ્રધાન પ્રહ્લાદ પટેલે જણાવ્યું હતું કે, ''આ પગલાનો ઉદ્દેશ વિદેશી પર્યટકોને ભારત ભ્રમણ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયે ફ્લેક્સિબલ ઇ-ટૂરિસ્ટ વિઝા વ્યવસ્થાને મંજૂરી આપી દીધી છે.''