હાલમાં પાકિસ્તાનની વસ્તી 20 કરોડથી પણ વધારેની છે. અને આ દુનિયાનો છઠ્ઠો વધારે વસ્તી ધરાવતો દેશ છે. આ વસ્તીમાં પાકિસ્તાને રૂસ અને બ્રાઝિલને પણ પાછળ છોડી દીધું છે. 1951ની વસ્તી ગણતરી મુજબ આઝાદીના સમયે પાકિસ્તાનની વસ્તી લગભગ સાડા 7 કરોડની હતી.
પાકિસ્તાન 14 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયું હતું અને આજે 73મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. એ સમયે ભારતે પાકિસ્તાનને 75 કરોડ રૂપિયા આપ્યા હતા. આ રૂપિયા આર્થિક મદદના રૂપે પાકિસ્તાનને મળ્યા હતા.
વિભાજન સમયે પાકિસ્તાનને અચલ સંપત્તિનો 17.5 ટકા ભાગ મળ્યો હતો. જ્યારે ભારતના ભાગમાં 82.5 ટકા ભાગ હતો. આ અચલ સંપત્તિમાં મુદ્રા, સિક્કા, પોસ્ટલ અને રેવન્યૂ સ્ટેમ્પ, ગોલ્ડ રિઝર્વ અને આરબીઆઈના એસેટ્સ સામેલ હતા. બંને દેશોની વચ્ચેની ચલ સંપત્તિની વાત કરીએ તો અહીં વિભાજન સમયે 80-20નો હિસ્સો હતો. તેમાં સરકારી ટેબલ, ખુરશીઓ, સ્ટેશનરી, લાઈટબલ્બ, ઇંકપોટ્સ, બ્લોટિંગ પેપર પણ સામેલ હતા. જ્યારે ભાગલા પડ્યા ત્યારે બંને દેશોની આર્થિક સ્થિતિ લગભગ એકસરખી હતી.
1947માં પાકિસ્તાની કરન્સીની કિંમત ઘણી વધારે હતી. તે સમયે એક અમેરીકી ડોલર 12 રૂપિયા 15 પૈસા બરાબર હતો. જે આજની તારીખમાં વધીને 160 રૂપિયા સુધી પહોંચ્યો છે. જ્યારે ગયા વર્ષે 18 ઓગસ્ટ 2018ના રોજ પાકિસ્તાની રૂપિયો 123.35 પર હતો. ખોટી નીતિઓના કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પહેલેથી સંકટમાં આવી છે. છેલ્લા કેટલાક મહીનામાં રૂપિયામાં આવેલા નુકસાનને કારણે સંકટ વધી રહ્યું છે. તેનું મોટું કારણ છે કે વિદેશી ભારણ વધી રહ્યું છે.