હવે આપણે ચિંતા કરવાની જરુર નથી કે જે ગાય-ભેંસનું દુધ આપણે પીએ છીએ તે પશુઓને વધુ પ્રમાણમાં એન્ટીબાયોટિક દવા તો અપાઇ નથી ને. આ પ્રકારની દવાનો પ્રભાવ પશુઓમાં થઇને સીધો આપણા ખોરાક પર પડે છે. જે આપણા શરીર પર પણ પ્રતિકુળ અસર કરે છે. આ દિશામાં હરિયાણાનો પશુપાલન વિભાગ મોટી પહેલ કરવા જઇ રહ્યો છે.
હવે નક્કી કરવામાં આવ્યું છે કે પશુઓનો ઇલાજ એલોપેથીથી નહીં, પરંતુ હર્બલ અને હોમિયોપેથીથી કરવામાં આવશે. આ અંગે વિભાગના એડિશનલ ડિરેક્ટર ડો એસ કે ગુલાટીએ પત્ર જારી કરીને આદેશ આપ્યા છે કે તમામ જિલ્લાઓમાં પશુપાલન વિભાગના અધિકારીઓ હર્બલ અને હોમિયોપેથી પધ્ધતિને પ્રોત્સાહન આપે. આ માટે ટ્રેનિંગ પણ શરુ કરાઇ ચુકી છે.
પહેલા ફેઝમાં વેટરનિટી સર્જનને ટ્રેનિંગ અપાઇ ચુકી છે. 11થી 13 જુલાઇની વચ્ચે પ્રદેશભરની ગૌશાળાઓના વર્કર્સને પણ ટ્રેનિંગ અપાઇ ચુકી છે. હવે આગામી 18,19 અને 20 જુલાઇના રોજ બીજી બેચ હશે. તેમાં પશુધન સહાયકોને પણ ટ્રેનિંગ અપાશે.
પશુપાલન વિભાગના રિસર્ચમાં એ વાત સામે આવી છે કે દુધાળા પશુઓને અપાતી એલોપેથી દવાઓની અસર દુધ પર પણ પડે છે. આ દુધની અસર માનવ શરીર પર પણ પડે છે. તેના લીધે ઘણા પ્રકારની બિમારીઓ જન્મે છે. પશુઓમાં બિમારીના કારણે જે બેક્ટેરિયા સક્રિય થયા છે તેની પ્રતિરોધક ક્ષમતા પણ વધી ગઇ છે.
પશુપાલન વિભાગ હરિયાણાના ડિરેક્ટર ડો સુખદેવ રાઠીએ જણાવ્યુ કે આ એક સારું પગલું છે. આ સમયની જરુરિયાત છે. હર્બલ અને હોમિયોપેથી દવા ધીમે ધીમે અસર કરે છે, પરંતુ ઇલાજ મુળમાંથી કરે છે.