HNGUમાં વર્ષ 2018માં MBBSની પરીક્ષાના વિવાદ મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ દ્વારા નિવેદન, સિનિયર IAS અધિકારી દ્વારા તપાસના આદેશ કરાયા છે.
પાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ આજે ગાંધીનગરમાં નિવેદન આપ્યું હતું. જેમાં સિનિયર IAS અધિકારી દ્વારા તપાસના આદેશ કરાયા છે. સાથે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે કહ્યું કે, રાજ્ય સરકારને કોઇ પણ કૌભાંડ છુપાવવું નથી. સિનિયર IAS અધિકારી નાગરાજન તપાસ કરશે.
પાટણની HNGUની પરીક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. જેમાં વર્ષ 2018માં મેડિકલની Fy-MBBSની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થયા હતા અને ત્યારબાદ આ મામલે તપાસ સોપાઈ હતી. નોંધનીય છે કે, વર્ષ 2018માં રીએસેસમેન્ટ દરમિયાન ગેરરીતિ થયા હોવાની લેખિત અરજી કારોબારી સભ્ય દ્વારા કરાઈ હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં ફેરફાર કરાયા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.
આ મામલે આજે કારોબારીની બેઠક યોજાવાની હતી પરંતુ કુલપતિ દ્વારા બેઠક રદ કરી દેવામાં આવી હતી. જોકે આ મુદ્દે વી.ટીવી ન્યુઝ દ્વારા રજીસ્ટ્રાર ડી.એમ પટેલને સવાલ કરતા તેઓએ જણાવેલ કે કુલપતિ જે.જે વોરા કોઈ ખાસ કામ આવતા આજે તેઓ હાજર નથી અને આજની કારોબારીની બેઠક મુલતવી રાખી હોવાનું જણાવ્યું હતું. હવે આ સમગ્ર મામલે કારોબારીમાં જે રિપોર્ટ આવશે તેના આધારે નિર્ણય કરાશે તો બીજી તરફ ગેરરીતિ મામલે NSUI દ્વારા પણ ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
પાટણમાં યુનિવર્સિટી બહાર મહિલાઓનો હોબાળો
પાટણમાં મહિલાઓ દ્વારા કલેકટર ઓફિસ અને યુનિવર્સિટી બહાર વિરોધ કરવામાં આવ્યો હતો. પરીક્ષા નિયામક તરીકે મિતુલ દેલીયાની નિમણૂકની 24 કલાકમાં જ નિમણૂક રદ થતા મહિલાઓએ હોબાળો કર્યો હતો. હોબાળામાં મહિલા બેભાન થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મહિલાઓએ કુલપતિ જે.જે વોરો સામે આક્ષેપ પણ કર્યા હતા.