ટ્રાફિક નિયમના ભંગ બદલ આકરા દંડની જોગવાઈમાં સરકારે હેલ્મેટ તેમજ પીયુસી માટે ૧૫ ઓક્ટોબર સુધીની રાહત આપી છે પંરતુ રોંગ સાઇડમાં ચલાવતા વાહનચાલકો માટે પોલીસ ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલરને ૧૫૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે અને ફોર વ્હીલરને ત્રણ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે
જો કોઇ વાહનચાલક દંડ નહીં ભરે તો તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વાહન પણ જપ્ત કરવામાં આવશે. શહેરમાં કુલ ૧૨૮ જગ્યાઓ એવી આઇડેન્ટી કરાઇ છે કે જેમાં વાહનચાલકો રોંગ સાઇડમાં વાહન ચલાવે છે.
કેન્દ્ર સરકારે મોટર વિહિકલ એક્ટમાં સુધારો કરીને દેશભરમાં અમલી કર્યો છે. ગુજરાત સરકારે મોટામસ દંડમાં રાહત આપીને ટ્રાફિકના નવા નિયમોનો અમલ થયો છે. પીયુસીની મસમોટી લાઇનો થતી હોવાના કારણે તેમજ હેલ્મેટનો સ્ટોક નહીં હોવાથી તેમાં પણ લાંબી લાઇનો જોવા મળી હતી જેના કારણે લોકોમાં રોષ ફેલાતાં સરકારે હેલ્મેટ અને પીયુસી મામલે રાહત આપી છે. હેલ્મેટ અને પીયુસીમાં મળેલી રાહત બાદ વાહનચાલકો બિન્દાસ થઇ ગયા છે અને કોઇપણ રીતે ટ્રાફિકના નિયમો તોડી રહ્યા છે. સીટબેલ્ટ નહીં બાંધવો, રોંગ સાઇડમાં વાહન ચલાવવું, ટ્રાફિક સિગ્નલ તોડીને જવું જેવા અનેક મામલે વાહનચાલકો પોતાની મનમાની ચાલવતા હતા.
વાહનચાલકો એ ભૂલી ગયા છે કે સરકારે પીયુસી અને હેલ્મેટ પર રાહત આપી છે પરંતુ બીજા નિયમો તો લાગુ થઇ ગયા છે. ટ્રાફિક પોલીસ છેલ્લા ઘણા સમયથી રોગ સાઇડમાં વાહનો ચલાવતા હોય તેવા રસ્તાનું એનાલિસિસ કરતી હતી. જેમાં તેમને શહેરનાં ૧૨૮ રોડ આઇન્ડેટિફાઇ કર્યાં છે. જેમાં વાહનચાલકો સૌથી વધુ રોંગ સાઇડમાં જાય છે. રોંગ સાઇડમાં વાહન ચલાવવા માટે મોટર વ્હીકલ એક્ટમાં વધુ દંડની જોગવાઇ છે જેમાં ટુ અને થ્રી વ્હીલર માટે ૧૫૦૦ અને ફોર વ્હીલર માટે ત્રણ હજાર રૂપિયા છે. આટલી મોટી દંડની જોગવાઇ હોવા છતાંય વાહનચાલકો પોલીસને ડર નથી.
રોગસાઇડમાં આવતાં વાહનોને દંડવા માટે ટ્રાફિક પોલીસે આઇડેન્ટિફાઇ થયેલા ૧૨૮ રોડ પર સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યુ છે. શહેરના ૪૭ કરતા વધુ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ, ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ તેમજ ડીસીપી અને એસીપી સ્કોવોડના પોલીસ કર્મચારીઓ ૩૦ સ્પેટમ્બર સુધી રોંગસાઇડમાં આવતા વાહનચાલકોને દંડશે. .
ટ્રાફિક પોલીસે આઇડેન્ટિફાઇ કર્યા છે તેવા રોડ પર નજર કરીએ તો વસ્ત્રાપુરમાં ૩, ઘાટલોડિયામાં ૩, સોલામાં ૪, નવરંગપુરામાં ૭, નારણપુરામાં ૫, વાડજમાં ૬, ગુજરાત યુનિવર્સિટીમાં 3, એલિસબ્રિજમાં ૧, સરખેજમાં ૫, આનંદનગરમાં ૨, સેટેલાઇટમાં ચાર, પાલડામાં ૧ અને વાસણામાં ૬, શાહપુરમાં ૫, માધવપુરામાં ૫, રાણીપમાં ૫, સાબરમતીમાં ૧ અને ચાંદખેડામાં ૨ તેમજ રિવરફ્રન્ટ ઇસ્ટમાં ૪ આ સિવાય ખાડિયા, કાલુપુર, ગાયકવાડ હવેલી, શહેરકોટડા, દરિયાપુર, શાહીબાગ, કૃષ્ણનગર, નરોડા, એરપોર્ટ, ઓઢવ, બાપુનગર જેવા તમામ વિસ્તારોમાં છે.
આ મામલે ટ્રાફિકના ડીસીપી તેજસ પટેલે જણાવ્યું છે કે ૩૦ તારીખ સુધી ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે જે વાહનચાલક રોગ સાઇડમાં આવતા ઝડપાશે તેનો દંડ કરવામાં આવશે અથવા તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે અને જો કોઇ વાહનચાલક પોલીસને ભલામણ પણ કરશે તો સ્વીકારવામાં આવશે નહી.