સવારે મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા અને પછી પોતાની ફરજ પૂરી કરી. તો બીજી તરફ હીરાબાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદી રાજભવનથી સીધા પોતાના માતાને મળવા અને તેમના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા, જ્યાં પ્રધાનમંત્રીને આશીર્વાદ સાથે શુકનની માતાજીની ચૂંદડી અને 500 રૂપિયાની સાથે નારિયેળ આપ્યુ હતુ.
હીરાબાએ પોતાના મતાધિકારનો ઉપયોગ રાયસણથી કર્યો છે. રાયસણ ગાંધીનગરને અડીને આવેલુ છે. હીરાબાની ઉંમર 98 વર્ષ છે છતાં તેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે રાજકીય કે કોઈ ખાસ પ્રસંગ હોય ત્યારે પ્રધાનમંત્રી ચોક્કસથી માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે તેમના ઘરે જાય છે. હીરાબા પણ દિકરો કુશળ રીતે પ્રગતિ કરે તે માટે આશીર્વાદ આપે છે.
તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સાથે જ મીડિયા સાથે વાત કરતા મોદીએ પત્રકારનો ખબર અંતર પૂછ્યા અને કહ્યુ કે- ''બધા મજામા છોને, બહુ મહેનત પડી હશે. આજ પછી આરામ કરજો બધા.'' આ પછી મોદીએ દેશવાસીઓને મતદાન કરવા માટે અપીલ કરીને જણાવ્યું, આ પછી મોદીએ કહ્યુ કે, ''આજે આખા દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે. મારું આ સૌભાગ્ય છે કે ,મને આજે મારું કર્તવ્ય નિભાવવા મળી રહ્યુ છ. મારા હોમ સ્ટેટ ગુજરાતમાં આ સક્રિય ભાગીદારી નિભાવવાની તક મળી છે.''
ઉલ્લેખનીય છે કે, 2014 ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ એટલે કે 26 સીટ પર જીત મેળવી હતી, આ વખતે પણ રાજ્યમાં ગત વખત જેવુ જ પ્રદર્શન થાય તે માટે ભાજપે મહેનત કરી છે. 2014 ચૂંટણીમાં પીએમ મોદીએ ગુજરાતના વડોદરા અને યૂપીના વારાણસી સીટ પરથી ચૂંટણી લડી હતી, જે પછી વડોદરાની સીટ છોડી હતી.