Unseasonal rain in ahmedabad: અમદાવાદમાં ખાબકેલો વરસાદ IPL 2023ની ફાઈનલ માટે બન્યો વિધ્ન, મેચ જોવા આવેલા પ્રેક્ષકોને વેઠવી પડી ભારે હાલાકી, શહેરમાં વૃક્ષ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મૃત્યુ.
અમદાવાદમાં સરેરાશ 3 ઈંચ વરસાદ નોંધાયો
ભારે વરસાદને પગલે સાબરમતીના જળસ્તરમાં વધારો
ભારે પવનને કારણે શહેરમાં અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી
વૃક્ષ પડવાથી મંગળ પુરુષોત્તમની ચાલી નજીક એક વ્યક્તિનું મૃત્યુ
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે રાજ્યના ઘણા વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘરાજાએ બેટિંગ શરૂ કરી હતી. ગઈકાલે બપોર પછી મોટાભાગના વિસ્તારોનું વાતાવરણ પલટાયું હતું. વીજળીના કડાકા-ભડકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ અમદાવાદમાં નોંધાયો છે. અમદાવાદમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં કરા અને ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે ગઈકાલે IPL 2023ની ફાઈનલ મેચ પણ કેન્સલ કરવામાં આવી હતી. જે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
દૂર-દૂરથી અમદાવાદ મેચ જોવા પહોંચ્યા હતા લોકો
ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાનારી ફાઈનલ મેચ જોવા માટે મહામહેનતે ટિકિટની વ્યવસ્થા કરીને દૂર-દૂરથી લોકો અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. પરંતુ ભારે અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો. આ ઉપરાંત અનેક વિસ્તારમાં વીજળીના કડાકાભડાકા સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. જેના કારણે આઈપીએલના ફાઈનલ મેચને કેન્સલ કરવામાં આવ્યો હતો. જેના કારણે સ્ટેડિયમ ખાતે પહોંચેલા લાખો દર્શકોમાં નિરાશા જોવા મળી હતી. વરસાદના કારણે મેચ મોકૂફ રહ્યાં બાદ પ્રેક્ષકોને હાલાકી પડી હતી. સ્ટેડિયમની બહાર નીકળ્યા બાદ પ્રેક્ષકોને પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. વરસાદથી બચવા દર્શકોએ ગ્રાઉન્ડ પરના હોર્ડિગ્સનો સહારો લીધો હતો. ભારે વરસાદના કારણે અન્ય શહેરોમાંથી મેચ જોવા આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને મેચ જોયા વગર જ પરત જવું પડ્યું હતું.
વરસાદના કારણે 75થી વધુ વૃક્ષ ધરાશાયી
તો ભરઉનાળે મેઘરાજાએ ધબધબાટી બોલાવતા તંત્રના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખૂલી ગઈ હતી. અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. નહેરુનગર, વેજલપુર, સિંધુભવન જેવા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે અનેક વાહનચાલકો પણ વરસાદી પાણીમાં ફસાયા હતા. તો ભારે પવનના કારણે શહેરના અનેક વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. અમદાવાદમાં કરા અને ભારે પવન સાથે પડેલા વરસાદથી શહેરમાં 75થી વધુ વૃક્ષો થયા ધરાશાયી થયા છે. વૃક્ષ પડવાથી મંગળ પુરુષોત્તમની ચાલી નજીક એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. વૃક્ષ નીચે બેસેલા ધનજી મકવાણા નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે.
અમદાવાદમાં સરેરાશ 3 ઈંચ વરસાદ
અમદાવાદ શહેરમાં ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો અમદાવાદમાં સરેરાશ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં પૂર્વ ઝોનમાં 2.5 ઈંચ, પશ્ચિમ ઝોનમાં 3.5 ઈંચ, ઉત્તર-પૂર્વ ઝોનમાં 3.5 અને દક્ષિણ-પૂર્વમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ચાંદખેડા અને રાણીપ વિસ્તારમાં 4-4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જોધપુર અને બોડકદેવમાં 4-4 ઈંચ, ગોતામાં 3.85 ઈંચ, ઉસ્માનપુરા-સાયન્સ સિટી વિસ્તાર અને ચાંદલોડિયામાં 3.75 ઈંચ,સરખેજ અને બોપલમાં નોંધાયો 3.50 ઈંચ વરસાદ , મણિનગર અને વટવામાં 3-3 ઈંચ, મેમકો અને નરોડામાં 2.15 ઈંચ વરસાદ નોંધાયો છે.
6 હજાર ક્યુસેક પાણી સાબરમતીમાં છોડાયું
ભારે વરસાદને પગલે સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો હતો. જેના કારણે ઉપરવાસના બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા. 4 દરવાજા ખોલી સાબરમતી નદીમાં 6 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.