નર્મદાના અનેક નામ છે. તેમાનું એક નામ છે રેવા. રેવા એટલે ખળ ખળ વહેતી નદી. છેલ્લા કેટલાક સમયથી નર્મદા નદી મૃતઃપાય અવસ્થામાં હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી નર્મદા નદી તેના રેવા સ્વરૂપમાં મૂળ સ્વરૂપે જોવા મળી છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. સતત પાણીની આવક થતાં ડેમના 7 દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યાં છે.
MPના ઇન્દિરાસાગર ડેમમાંથી 1 લાખ 17 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. ત્યારે ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પાણીનો વધારો થયો છે. તો હાલ ડેમની જળસપાટી 132.41 મીટર પર પહોચી છે. જેથી ડેમના હાલ 7 દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યાં છે. જ્યારે રીવર બેડ પાવર હાઉસના 1200 મેગાવોટના 6 યુનિટ પણ ચાલુ છે.
સોળે કળાએ ખીલી ઉઠ્યું નર્મદા
ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે અને જાણે લીલીછમ ચાદર ઓઢી દીધી હોય તેવા દ્રશ્ય સર્જાય છે અને નદી અને નાળા છલકાવવાથી સૌંદર્યમાં વધારો થાય છે. હાલ ડેમ વિસ્તારમાં પવન સાથે ઝરમર વરસાદના કારણે સાતપુડા અને વિધ્યાંચલ પર્વતે લીલી ચાદર ઓઢી લીધી છે. જેના કારણે મનમોહક દ્રશ્યો સર્જાયા છે. ત્યારે નર્મદા જિલ્લાના આ કુદરતી સૌંદર્યને માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.