મુંબઈ પણ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ હાહાકાર મચાવ્યો છે. ત્યાં ત્રયંબકેશ્વર જ્યોર્તિલિંગ પર ધોધમાર વરસાદનું પાણી એવી રીતે આવી પહોંચ્યું છે કે જાણે પવિત્ર શ્રાવણ માસમાં ભગવાનનો જળાભિષેક કરવા આવ્યું હોય. ભારે વરસાદને કારણે ગોદાવરી નદી બે કાંઠે વહી રહી છે અને ગોદાવરી નદી ત્રયંબકેશ્વર જ્યોર્તિલિંગ પર જળ અર્પણ કરવા પહોંચી હોય તેવા દ્રશ્યો હાલ નાસિકમાં જોવા મળી રહ્યા છે.
નાસિક જિલ્લામાં સતત વરસાદ
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી રોકાઈ રોકાઈને વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ ગયું છે. એક તરફ જ્યાં લોકો પાણી ભરાઈ જવાને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ નદીઓ અને ડેમના જળસ્તર સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે જિલ્લાના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે.
ગોદાવરી નદી ખુદ પહોંચી મહાદેવનો અભિષેક કરવા
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શ્રાવણમાં માસમાં લોકો ભગવાન શિવને જળ અર્પણ કરવા જતા હોય છે. ત્યારે નાસિકના ત્રયંબકેશ્વર મંદિરમાં શનિવારે ગોદાવરી નદી ખુદ બાબા ભોલેનાથનો અભિષેક કરવા આવી પહોંચી હતી. મંદિરમાં જાણે આખી ગોદાવરી નદી ચડી આવી હોય તેવા દ્રશ્યો ફલિત થતા હતા.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી-પાણી
મહારાષ્ટ્રમાં ચોમાસાના ધોધમાર વરસાદને કારણે નાસિક જિલ્લાના અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા છે. સતત વરસેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં કમર અને છાતી સુધી પાણી ભરાઈ ગયા હતા. નાસિકના દારણા, કડવા, ભાવલી ગંગાપુર, પાલખેડ, વાલદેવીના અલગ અલગ ડેમોમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે આવી સ્થિતિનું નિર્માણ થયું છે. .તો નાસિકમાં છેલ્લા 24 કલાકમાં 350 મિલીમીટર વરસાદ વરસ્યો છે.
આપને જણાવી દઈએ કે ત્રયંબકેશ્વર મંદિર ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગોમાંથી એક છે. મંદિરના દર્શન માટે પ્રતિદિન અલગ અલગ રાજ્યોમાંથી હજારો લોકો આવે છે અને હાલ મંદિર પરિસરમાં પાણી ભરાઈ જવાને કારણે હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.