ગીર સોમનાથમાં અત્યાર સુધીમાં 40 ઈંચ વરસાદ પડતા ખેતીના પાકોને નુકસાન થયું છે. જેને પગલે 20 ટકા ઉત્પાદન ઘટવાની શક્યતા સેવાઇ રહી છે.
ગીર સોમનાથના ખેડૂતોને હાલાકી
વરસાદને કારણે પાક નિષ્ફળ
સહાય ચૂકવવા સરકાર પાસે માગ
ચાલુ વર્ષે ગીરસોમનાથ જિલ્લામાં મોટા પાયે વરસાદ નોંધાયો છે. છેલ્લા 2 મહિનાથી પડતા ધોધમાર વરસાદને લઇને ગત 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો હોય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. પરંતુ આ વરસાદ ખેડૂતો માટે વેરી સાબિત થયો છે. કારણ કે, ભારે વારસાદને લઇને મગફળી, કપાસ અને સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. જેથી ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ ઉઠાવી છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ સીઝનમાં ગીર સોમનાથ જિલ્લામાં સિઝનનો 40 ઈંચ વરસાદ નોંધાયો છે.
સિઝનમાં પડતા વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો
ગીર સોમનાથ જિલ્લામા સતત વરસાદના કારણે મગફળી અને કપાસ તેમજ સોયાબીન સહિતના પાકોને નુકસાન થયું છે. આથી પાક નિષ્ફળ જવાની અને ઉત્પાદન ઘટવાની દહેશત ફેલાઈ રહી છે. જેને લઇને ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. સામાન્ય રીતે ચોમાસુ ખેડૂતો માટે ખુશી લઈને આવતું હોય છે. કારણ કે આખું વર્ષ આકાશ સામે મીટ માંડીને બેઠેલો ખેડૂત ચોમાસુનું આગમન થતાં ખુશખુશાલ થઈ જાય છે અને ખેતીના પાકોનું વાવેતર કરવા મથામણ કરવા લાગે છે. ચોમાસાના વરસાદ અને ખેતી પાક પર ખેડૂતના આખા વર્ષની મજાર હોય છે. પરંતુ ગીરમાં આ વર્ષે ખેડૂતોની દિવાળી સુધરવાની જગ્યાએ બગાડવાની હોય તેવા એંધાણ દેખાય રહ્યા છે. છેલ્લા 2 મહિનાથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે જાણે ધામા નાખ્યા હોઈ તેવું લાગી રહ્યું છે. અહીં સિઝનમા પડતા વરસાદ 10 વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે.
20 ટકા ઉત્પાદન ઘટવાની શકયતા
અવિરત વરસાદને લઇને ખેતરો પાણીથી સતત ભરાયેલા રહ્યા હતા વધુમાં ખેતરોમાં બેટનીં સ્થિતિ વારંવાર ઉભી થવાના કારણે ખેડૂતોના પાકો સડી જવા ઉપરાંત સુકાઈ જવા સહીતની સમસ્યા જાગી છે. આથી કોડીનાર, વેરાવળ અને સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોને આભ ફાટ્યું ત્યાં થીગડું કયા મારવું તેવી સ્થિતિ જન્મી છે. પાક નિષ્ફળ જવાના ડરને લઇને ખેડૂતોને આખું વર્ષ પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવવું એ વિચાર માત્ર બિહામણું દ્રશ્ય ઊભું કરે છે. ત્યારે ખેડૂતોએ સરકાર સામે સહાયની માંગ સાથે રાહતનો ખોળો પાથર્યો છે. બીજી તરફ કૃષિ વિજ્ઞાનિકોનું માનવું છે કે વરસાદના કારણે ભારે નુકસાન થયું છે જેને લઇને 20 ટકા ઉત્પાદન ઘટવાની શકયતા છે.