છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં અતિભારે વરસાદ, CM ભૂપેન્દ્ર પટેલે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી
રાજ્યના 6 જિલ્લાઓમાં અતિભારે વરસાદ
નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતરણ કરાયું
છોટા ઉદેપુરમાં NDRFની એક ટીમ રવાના કરાઇ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગવી સંવેદનશીલતાનું ઉદાહરણ પુરુ પાડતાં રાજકોટ જિલ્લાના પ્રવાસમાંથી પરત આવી હેલિપેડથી સીધા જ સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજ્યમાં દિવસ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના ૬ જિલ્લાઓ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં થયેલા વ્યાપક અને ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા આ જિલ્લાના કલેક્ટરો સાથે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર SEOCથી કરીને સ્થિતિનો સંપૂર્ણ જાયજો મેળવ્યો હતો. આ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારમાં તથા કાચા મકાનમાં રહેલા લોકોના સલામત સ્થળાંતર અને તેમની ભોજન-આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તેમણે વહીવટી તંત્રને સૂચનાઓ આપી હતી.
કેટલા લોકોનું કરાયું સ્થળાંતર
છોટાઉદેપુરમાં ૪૦૦, નવસારીમાં ૫૫૦ અને વલસાડમાં ૪૭૦ સહિત રાજ્યમાં ૩,૨૫૦ જેટલાં નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલું છે. મુખ્યમંત્રીએ આગામી બે દિવસ ગુજરાતમાં હજુ વ્યાપક વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહીને પગલે આ જિલ્લા કલેકટરોને તાકીદ કરી હતી કે, જરૂર જણાયે હજુ વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની વ્યવસ્થાઓ માટે તેઓ સજ્જ રહે. એટલું જ નહીં, પોલીસ દળની મદદ લઈને પણ લોકોનું સ્થળાંતર થાય, વરસાદને પગલે કોઈ જાનહાની ન થાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે જોવા તેમણે ખાસ તાકીદ કરી હતી.
ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી રાજ્યના છ જિલ્લામાં થયેલા ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી.
જિલ્લા કલેક્ટરશ્રીઓને નીચાણવાળા સ્થળોએ રહેલા લોકોના સલામત સ્થળાંતર, તેમના ભોજન અને આરોગ્યની વ્યવસ્થા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે જરૂરી સૂચનાઓ આપી. pic.twitter.com/U6VC2Fb6zO
NDRFની 13 ટીમો અને SDRFની 16 ટીમો તૈનાત કરાઇ
રાજ્યમાં NDRFની ૧૩ ટીમ અને SDRFની ૧૬ પ્લાટૂન હાલ તૈનાત કરવામાં આવી છે. છોટા ઉદેપુરમાં વડોદરાથી SDRFની ૧ પ્લાટૂન મદદ માટે રવાના કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ વ્યાપક વરસાદથી અસરગ્રસ્ત એવા ૬ જિલ્લાના કલેક્ટરઓને તેમના જિલ્લાના જળાશયોમાં પાણીનો આવરો, દરિયામાં ભરતીને કારણે નદીઓમાં આવતું પાણી ગામોમાં ઘૂસી આવે તો તેની સામેની સાવચેતી, પશુઓની સલામતી વગેરે અંગે માહિતી મેળવીને સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યના કુલ 388 માર્ગો બંધ કરવામાં આવ્યા
રાજ્યમાં તા. ૧૦ જુલાઈ એટલે કે આજની સ્થિતિએ સ્ટેટ હાઇવે, પંચાયત હાઇવે અને અન્ય માર્ગો મળીને કુલ ૩૮૮ જેટલા માર્ગો બંધ છે. સ્ટેટ હાઇવેના જે માર્ગ બંધ છે તે સહિતના માર્ગો પરની આડશો દૂર કરીને તેમજ અન્ય મરામત કરીને તેને પુનઃ કાર્યરત કરવા મુખ્યમંત્રીએ માર્ગ મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સૂચનો આપ્યા હતા. રાજ્યમાં આજે આ છ જિલ્લાઓમાં સવારે ૮.૦૦ વાગ્યાથી સાંજે ૬.૦૦ વાગ્યા દરમિયાન ૫ ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. તે સંદર્ભમાં પણ મુખ્યમંત્રીએ સ્થળાંતર અને અન્ય સુરક્ષાત્મક પગલાની જરૂર જણાય તો જિલ્લા કલેકટરએ સ્થાનિક સ્તરે જ જરૂરી નિર્ણય લઇ ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતુ.
મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને મુખ્ય સચિવ પંકજકુમાર પણ ઉપસ્થિત રહ્યાં
આ ઉપરાંત મુખ્યમંત્રીએ આ ઓપરેશન સેન્ટરની હોટ લાઈનથી છોટાઉદેપુર કલેકટર કંટ્રોલ રૂમમાં વાતચીત કરી સ્થિતિનો અંગેનો તાગ મેળવ્યો હતો. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ આ વેળાએ ઉપસ્થિત હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીના મુખ્ય સચિવ પંકજકુમાર, મહેસૂલ વિભાગના અધિક સચિવ કમલ દયાની, માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદીપ વસાવા, રાહત કમિશનર પી. સ્વરૂપ સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ તાકીદ બેઠકમાં જોડાયા હતા.