ગુજરાતમાં વરસાદે મેઘમહેરની જગ્યાએ મેઘકહેર વર્તાવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં હજુ 3 દિવસ મેઘરાજા અનેક વિસ્તારોને ધમરોળશે.
ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી
દ્વારકા, દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા
અમદાવાદમાં પણ આગામી 48 કલાક સુધી ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ વરસશે. રાજ્યમાં દ્વારકા, દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા સેવાઇ છે.
બનાસકાંઠા અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા
બીજી બાજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને મધ્ય ગુજરાતમાં ગાંધીનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સાથે મહેસાણા, ગાંધીનગર અને દાહોદમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદમાં પણ આગામી 48 કલાક સુધી ભારે વરસાદની શક્યતા
એ સિવાય અમદાવાદમાં પણ આગામી 48 કલાક સુધી ભારે વરસાદની શક્યતા સેવવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં ચાલુ સિઝનનો 65 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં 94 ટકા વરસાદ વરસ્યો છે.
મહત્વનું છે કે, રાજ્યમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેના લીધે અનેક ગામ સંપર્ક વિહોણાં થઇ ગયા છે. ક્યાંક નદી-નાળાઓ પણ છલકાઈ ગયાં છે. તો ક્યાંક ડેમ પણ ભયજનક સપાટીએ પહોંચી ગયા છે. ત્યારે રાજ્ય માટે આગામી 3 દિવસ અતિ ભારે છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજાર 674 લોકોનું સ્થળાંતર કરાયું
વધુમાં જણાવી દઇએ કે, રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી બાજુ સુરત, નવસારી અને વલસાડમાં પણ રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજાર 674 લોકોનું સ્થળાંતર કરાયું છે.
પંજાબથી NDRFની 5 ટીમો વડોદરા પહોંચી
વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ પંજાબથી NDRFની 5 ટીમો વડોદરા પહોંચી છે. ત્યાંથી ટીમોને તાપી ભરૂચ સુરત નવસારી અને વડોદરામાં ડીપ્લોય કરી દેવામાં આવી છે. પ્રભારી મંત્રીઓને જિલ્લામાં જવાની સરકારે સુચના આપતા તમામ મંત્રીઓ તાબડતોબના ધોરણે અસરગ્રસ્ત જિલ્લામાં પહોંચી ગયા છે.
સોમવારે મોડી સાંજે રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'તંત્ર રાહત બચાવની કામગીરી ખુબ ઝડપથી કરી રહ્યું છે. અત્યાર સુધી 10674 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે બચાવાયેલા લોકો માંથી 6853 લોકો હેમખેમ પોતાને ઘરે પરત ફર્યા છે. બપોર બાદ વરસાદમાં ઘટાડો થયો છે.'
જિલ્લો
સ્થળાંતર
છોટા ઉદેપુર
5278
નવસારી
2902
પોરબંદર
801
આણંદ
630
વલસાડ
469
તાપી
235
દેવભૂમિ દ્વારકા
120
કચ્છ
130
નર્મદા
85
વડોદરા
24
રાજ્યમાં વરસાદથી 63 લોકોના મોત નિપજ્યાં
રાજ્યમાં મેઘ મહેર ઘણી જગ્યાએ કહેર બનીને વરસી છે. અત્યાર સુધી રાજ્યમાં વરસાદથી 63 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 7 લોકો વરસાદી તારાજીને લીધે મરણ પામ્યા છે. જો નુકસાનની વાત કરીએ તો રાજ્ય સરકારના આંકડા મુજબ વરસાદથી 18 મકાનોને સંપૂર્ણ નુકશાન પહોચ્યુ છે. 24 કલાકમાં 11 ઝૂપડા પણ બરબાદ થઈ ગયા છે. અત્યાર સુધી કુલ 272 પશુઓના વરસાદથી મૃત્યુ થયા છે. તેમજ વીજળી પડવાથી કુલ 33 લોકો, દીવાલ પડવાથી 8 લોકો, પાણીમાં ડૂબવાથી 16, ઝાડ પડવાથી 5 લોકોના મૃત્યુ તેમજ વીજપોલ પડી જતા એક નાગરિકે જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 508 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. જેમાંથી 468 નાગરિકો ઘરે પરત ફર્યા છે.
5 દિવસ માછીમારોને દરિયો ન ખેડે : હવામાન વિભાગ
રાજ્યમાં વરસાદને લઈને આજે હવામાન વિભાગે નવી આગાહી કરી છે. જે મુજબ આગાહીમાં 3 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. આગામી 5 દિવસ ( 15 જુલાઇ સુધી) વરસાદની સ્થિતિ સાર્વત્રિક રીતે યથાવત રહેશે.દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 જુલાઈ બાદ વરસાદમાં આંશિક રાહત મળશે તેવા વરતારા પણ થયા છે.આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. આપને એ પણ જણાવી દઈએ કે ગુજરાતમાં 11 જુલાઇ સુધી સિઝનનો સરેરાશ 41% વરસાદ નોંધાયો છે.