જૂનાગઢમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડતા અનેક રોડ રસ્તાઓ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદ
માંગરોળના નગીચાણા ગામે ઘરમાં ઘૂસ્યા પાણી
જૂનાગઢમાં દિવસ દરમિયાન અવિરત વરસાદ
ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી બાદ રાજ્યમાં મેઘરાજ મન મુકીને વરસી રહ્યા છે. બે દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડતા અનેક જગ્યાએ સારો એવો વરસાદ નોંધાયો છે. આ તરફ ભારે પવન અને ગાજવીજ અને ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો જે બાદ રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. ગઈ કાલે જૂનાગઢમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડતા અનેક રોડ રસ્તાઓ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
જૂનાગઢમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ
જૂનાગઢમાં દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈ રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા તો આ તરફ માંગરોળના નગીચાણા ગામમાં ઘરમાં ઘૂસ્યા પાણી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ વરસ્યો તો વેરાવળમાં 6 ઈંચ જેટલો વરસાદ વરસી જતા શેરી- ગલી- મહોલ્લા અને બજારોમાં ઠેર- ઠેર નદી વહેતા હોય તેવા દ્વશ્યો જોવા મળ્યા હતા.
શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા
આ ઉપરાંત તાલાલા અને કોડીનાર પંથકમાં સાડા ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો મેઘરાજાની તોફાની બેટિંગથી વેરાવળ-સોમનાથની બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે લોકોને હાલાકી વેઠવી પડી હતી. સાર્વત્રિક વરસાદના પગલે જિલ્લાના નદી-નાળા અને ડેમોમાં નવા નીર આવ્યા છે.
તાલુકાઓમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
ગીરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી કોડીનારના પેઢાવાડા નજીકથી પસાર થતી સોમેત નદીમાં પૂર આવ્યું છે. તો સૂત્રાપાડા શહેર તથા આસપાસના વિસ્તારમાં 9 ઈંચ વરસાદથી સર્વત્ર પાણી- પાણી થઈ ગયું. સૂત્રાપાડાના પ્રશ્નાવાડા ગામમાં તો લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. આ સૂત્રાપાડાની સરસ્વતી નદીમાં પણ પૂર આવ્યું. જેના કારણે પ્રાચી તિર્થ સ્થિત માધવરાય મંદિરમાં પ્રતિમાઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.