ગુજરાતમાં વરસાદે કાળો કહેર વરસાવ્યો છે. અત્યાર સુધીમાં સિઝનનો 120% વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદને લઇને વડોદરાવાસીઓ માટે સૌથી મહત્વના સમાચાર આવ્યા છે. ઉપરવાસમાંથી છોડવામાં આવતું પાણી વડોદરા માટે આફત નોતરી શકે છે.
વડોદરાવાસીઓ માટે સૌથી મહત્વના સમાચાર
ઉપરવાસના પાણી વડોદરા માટે આફત નોતરી શકે
પ્રતાપપુરા સરોવરથી આજવા સરોવર પહોંચી રહ્યા છે પાણી
ઉલ્લેખનીય છે કે, પ્રતાપપુરા સરોવરથી આજવા સરોવરમાં પાણી પહોંચી રહ્યા છે અને હાલ આજવા સરોવરની સપાટી 212.40 ફૂટ પર પહોચી ગઇ છે. ત્યારે આજવા સરોવર 212 ફૂટે મેન્ટેઈન કરવા માટે પાણી છોડાશે. વિશ્વામિત્રી નદીમાં પાણી છોડીને આજવા સરોવર મેન્ટેઈન કરાશે.
વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી
આપને જણાવી દઇએ કે, હાલ વિશ્વામિત્રી નદીના 23.75 ફૂટની સપાટી પર વહેણ વહી રહ્યું છે અને 26 ફૂટની જળસપાટી વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છે. ત્યારે હવે ઉપરવાસમાંથી વધુ પાણી છોડવામાં આવે તો સ્થિતિ વધુ વણસી શકે છે.
60થી વધુ મકાનની ઘરવખરીને નુકસાન
ભારે વરસાદને પગલે સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠા, સુભાષનગરમાં પાણી ધસી આવતા અંદાજીત 60થી વધુ મકાનની ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું. આ અસરગ્રસ્તોને સયાજીગંજની શાળામાં કરાયુ છે સ્થળાંતર.
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતાં હવે મેઘમહેર મેઘકહેર તરફ વળી રહ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 120% વરસાદ નોંધાયો છે જેના કારણે ખેડૂતો હવે ત્રાહિમામ પોકારી ગયાં છે.
94 તાલુકાઓમાં 40 ઈંચ વરસાદ
રાજ્યના 94 તાલુકાઓમાં સિઝનનો 40 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં 103 ડેમ 100% કરતા વધુ ભરાયા છે. આ વખતે જો સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં થયો તેની વાત કરીએ તો કચ્છમાં 251.66 ટકા વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં 162.64ટકા, દક્ષિણ ગુજરાતમાં 102.45 ટકા, ઉત્તર ગુજરાતમાં 101.72 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 87.56 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યના 205 જળાશયો પૈકી 154 જળાશયો હાઇ એલર્ટ પર મૂકાયા છે. જેમાં 12 જળાશયો એલર્ટ પર અને 12 જળાશયો વોર્નિંગ પર છે. રાજ્યમાં કુલ 62 નદીઓ અને 78 મોટા તળાવ ઓવરફલો થયા છે.
10 ઈંચથી ઓછો વરસાદ એક પણ જિલ્લામાં નહીં
133 તાલુકાઓમાં 20 થી 40 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે 10 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોય તેવો એક પણ જિલ્લો નથી.
5000 લોકોનું સ્થળાંત કરાયું
નર્મદા નદીની વધતી જતી જળ સપાટી ચિંતાનો વિષય બની રહ્યો છે. ત્યારે ગાંધીનગર ખાતે સ્ટેટ ડિઝાસ્ટરની બેઠક યોજાઇ છે. નર્મદા નદીની વધતી જતી સપાટીને લઇ કાંઠા વિસ્તારના ગામોની સલામતી મુદ્દે બેઠક યજાઇ. જેમાં મુખ્ય સચિવ, મહેસુલ અગ્ર સચિવ, મેરિટાઇમ બોર્ડના એમડી, વન વિભાગના અગ્ર સચિવ અને NDRFના અધિકારીઓ હાજર રહ્યા.
બેઠક બાદ રાહત કમિશનર હર્ષદ પટેલે નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે ચર્ચા કરાઇ છે. અને NDRF દ્વારા રેસ્ક્યૂની કામગીરી પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી રાજ્યમાં 120 ટકા વરસાદ નોંધાયો છે. અને આજથી વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. 5000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
50 લાખ હેક્ટરથી વધુનો પાક ફેલ
ચોમાસાને ધ્યાનમાં રાખએ તો અત્યારે વરસાદની લા-નીનો પેટર્ન જોવા મળી રહી છે જેને પગલે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખેડૂતોને આ વખતે પણ ખેતીમાં ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. 50 લાખ હેક્ટરમાં ખરીફ પાકના વાવેતર પર વરસાદી પાણી ફરી વળ્યા છે.
20.38 લાખ હેક્ટરમાં મગફળીનો પાક ફેલ ગયો છે જ્યારે 22.16 લાખ હેક્ટરમાં કપાસનો ઉભો પાક બળી ગયો છે. આ સિવાય તલ, સોયાબીન સહિતના તેલિબિયાના પાકોને નુકસાન થયું છે જ્યારે ઉભી મકાઈ અને બાજરી પણ બળી ગઈ છે. એ સિવાય કઠોળના પાકને પણ લીલો દુકાળ ભરખી ગયો છે. 5 લાખ હેક્ટરમાં ડાંગરનો પાક હતો જેમાં પણ સતત પાણી મૂળિયા કવાઈ ગયા છે.
ખેડૂતોને નુકસાનીનું વળતર મળશે: નીતિન પટેલ
ગુજરાતમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં શરૂઆતમાં સારો વરસાદ પડ્યો હતો. જોકે બાદમાં ભારે વરસાદ થવાથી ખેડૂતોને જે પણ નુકસાન થયું છે. તેનું વળતર આપવામાં આવશે. ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો સર્વે થશે અને નુકસાન મુજબ રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી સહાય કરવામાં આવશે.
મેઘતાંડવથી આજે 3ના મોત
છેલ્લા 24 કલાકમાં મેઘ તાંડવમાં 3 લોકોએ પોતાના જીવ ખોયા છે. વરસાદી પાણીમાં તણઈ જવાથી આ લોકોના મોત થયા છે. જેમાંથી ગીર સોમનાથ જિલ્લામાં 2 અને કચ્છમાં 1ના મૃત્યુ થયુ છે. અત્યાર સુધી પાણીમાં ડુબી જવાથી રાજ્યમાં 16ના મૃત્યુ થયા છે.