ગુજરાતમાં હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, હવામાન વિભાગે વરસાદને લઈને ફરી એકવાર આગાહી કરી છે, રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનને લીધે ગુજરાતમાં વરસાદી વાદળો ઘેરાયા છે, જેને લઈ હવામાન વિભાગે રાજ્યમાં હજુ પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાથે રાજ્યના અનેક જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશ જેવા કે દીવ, દમણ, દાદરાનગર હવેલી જેવા સ્થળોએ હળવોથી ભારે વરસાદ થઈ શકે છે તો આ તરફ રાજ્યાના જિલ્લાઓ જેવા કે ભરુચ, બનાસકાંઠા, સાબરકાંઠા, અલવલ્લી મોડાસા સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે 25 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિત જામનગર, ભાવનગર, દ્રારકા, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શક્યતાઓ સેવી છે, તો સાથે જ આ તરફ પાટણ, અમદાવાદ અને ગાંધીનગર અને વડોદરામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યાતાઓ જોવા મળી રહી છે મહત્વનું છે કે સપ્ટેમ્બરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ નદી, નાળા,સરોવર અને ચેકડેમોમાં નવા નીર આવ્યા છે અને જળસપાટીમાં વધારો થતા સિંચાઈથી લઈને પીવાના પાણી જેવા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે ત્યારે હજુ પણ સિઝનનો કેટલાક ટકા વરસાદ બાકી રહેતા તે પણ સપ્ટેમ્બરના અંત સુધીમાં પુરો થઈ શકે તેવું હવામાન વિભાગનું માનવું છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્ર સહિત આખા રાજ્યમાં સારો વરસાદ પડી રહ્યો છે. જોકે રાજ્યમાં હજુ પણ વરસાદની ઘટ છે ત્યારે આગામી સમયમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ આ સપ્ટેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. 25 સપ્ટેમ્બર બાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સાથે જ મધ્ય ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદની આગાહી કરવામાં આવો છે.
રાજ્યમાં હજુ પણ 14 ટકા વરસાદની ઘટ
નોંધનીય છે વલસાડમાં ઉપરવાસમાં સારો વરસાદ પડવાના કારણે મધુબન ડેમની જળસપાટી ભયજનક સ્તર પર પહોંચી ગઈ છે. ડેમમાં 1.59 લાખ કયુસેક પાણીની આવક થતાં ડેમની હાલની સપાટી 79.45 મીટરે પહોંચી છે જે બાદ 10 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલીને દમણગંગા નદીમાં 1.70 લાખ કયુસેક પાણી છોડવામાં આવતા નદી ગાંડીતૂર બની છે. લોકોને નદીકિનારાથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં એક દિવસમાં 144 તાલુકાઓમાં વરસાદ
જો કે રાજ્યમાં એક દિવસમાં 144 તાલુકાઓમાં વરસાદ પડતા રાજ્યના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, તો ગુજરાતમાંથી જળસંકટનો ખતરો પણ ટળ્યો છે. જો વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદ જામનગરના જોડિયામાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે, નખત્રાણામાં 4 ઈંચ, ગણદેવીમાં 3.5 ઈંચ વરસાદ તો ઉમરપાડા અને ચીખલી, અંજારમાં 3 ઈંચ વરસાદ, કપરાડામાં પોણા 3 ઈંચ નોંધાય છે. નાંદોદમાં 2.5 ઈંચ, રાપરમાં 2.5 ઈંચ વરસાદ અને પલસાણા અને ધરમપુરમાં 2.5 ઈંચ તો ભરૂચમાં સવા અને છોટા ઉદેપુરમાં સવા 2 ઈંચ તો નવસારી,ધ્રોલ તેમજ બગસરા અને માંગરોળમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.