ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થતાં અતિભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી શકે છે. તો રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે સાથે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યું છે. તમામ જિલ્લાઓમાં અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યોના કલેકટરોએ પરિપત્ર જાહેર કરીને તમામ અધિકારીઓની રજા કેન્સલ કરી દીધી છે. ભારે વરસાદને લઇ સાવચેતીના ભાગરૂપે રાજ્યમાં NDRFની ટીમો અમદાવાદથી વરસાદી વિસ્તારમાં રવાના કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર 3 ટીમ, સાઉથ ગુજરાતમાં 3 ટીમ તૈનાત કરવામાં આવી છે, તો ઉત્તર ગુજરાત 5 અને કચ્છમા 1 ટીમ તૈનાત કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે, ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાક બાદ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ બે સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ ખુબ જ સારો વરસાદ થશે. જ્યારે 30 જૂલાઈની આસપાસ વરસાદી સિસ્ટમ કચ્છ તરફ આગળ વધતા મોરબી, જામનગરમાં વરસાદની સંભાવના છે. જેથી કુલ મળીને આગામી 5 દિવસમાં વરસાદની સંભાવના છે.