રાજ્યમાં મેઘો મનમૂકીને વરસી ગયો અને હજુ વિરામ લેતાં લેતાં વરસી રહ્યો છે. વરસાદના કારણે છેલ્લાં ત્રણ દિવસથી આપણુ રાજ્ય જાણે બાનમાં લેવાયું હોય તેવો માહોલ સર્જાયો છે. કયાંક આ વરસાદ આનંદનું બહાનું બન્યો છે તો કયાંક વરસાદ નારાજીનું કારણ પણ બન્યો છે. એ જે હોય તે પરંતુ રાજ્ય પર વરસેલા વરસાદે અનેક રંગો દેખાડ્યા છે. કોઈ જીવ જોખમમાં મૂકીને કોઈનો જીવ બચાવી રહ્યું છે તો કોઈ જળપ્રલયની પરવા કર્યા વગર અડિખમ રહી પોતાની ફરજ નિભાવી રહ્યું છે.
રાજ્યમાં સારામાં સારો વરસાદ પડ્યો છે. જેના કારણે એકંદરે લોક ખુશ છે. પરંતુ વરસાદ ક્યાંક આફત બનીને પણ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં લોકોને વિપરીત અસરો પડી છે.
રાજ્યા 412 રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા. જેમાં પંચાયત હસ્તકના 380 રસ્તા બંધ કરાયા છે. 12 સ્ટેટ હાઈવે અને 20 અન્ય મેઈન રસ્તાઓ સામેલ છે. રસ્તાઓ બંધ થવાના કારણે વાહન-વ્યવહાર પર તેની મોટી અસર પડી છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વરસાદની અસર રેલવેને પણ થઇ છે જેમાં 5 ટ્રેન રદ, 1 ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે. તો બીજી તરફ 24 કલાકમાં 19 લોકો વરસાદનો ભોગ બન્યા છે.
રાજ્યમાં 23 ડેમ 100 ટકા ભરાયા છે. 42 ડેમમાં 70 ટકાથી વધુ પાણી આવ્યું છે. રાજ્યમાં કુલ 60 ટકા જળ સંગ્રહ થયો છે. મોસમનો સરેરાશ 78 ટકા વરસાદ વરસી ગયો છે.
મહત્વનું છે કે, રાજ્યમાં ભારે વરસાદને લઇને CMએ ગાંધીનગરમાં સમીક્ષા બેઠક કરી હતી. રાજ્યમાં તંગ પરિસ્થિતમાં બચાવ કામગીરી માટે 18 NDRFની ટુકડી તૈનાત કરવામાં આવી છે. SDRFની 11 ટુકડીઓ ઉપરાંત આર્મી અને એરફોર્સ તૈનાત કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. 24 કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. નર્મદા સરદાર સરોવર ડેમની સપાટી સ્થિર થઇ છે. ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે.
અમદાવાદને વરસાદે કર્યું તરબોળ
ગતરાત્રીએ અમદાવાદમાં પડેલા વરસાદથી સમગ્ર શહેર પાણી પાણી થયું છે. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાઇ જતા વાહનચાલકોને હાલાંકી પડી હતી. એસ.જી હાઇવે પર પણ પાણી ભરાતા વાહનવ્યવહાર પર અસર થઇ હતી. હાટકેશ્વર, મણીનગર સહિતના વિસ્તારો બેટમાં ફેરવાયા છે, તો સરખેજમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા. છેલામાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ પડતા 4 લોકોના થયા મોત હતા. મીઠાખળી પાસે રસ્તા પર ભુવો પડ્યો હતો. શહેરમાં અલગ-અલગ જગ્યાઓ પર કુલ 58 વૃક્ષો ધરાશાયી થયા.
ત્યારે સમગ્ર પરિસ્થિતિને લઇને 1300 CCTV દ્વારા શહેરમાં AMCની ટીમ નજર રાખી રહી છે. પાણીના નિકાલ માટે 500 પંપિગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરખેજ, ગોતા, હાટકેશ્વર, જીવરાજ પાર્ક, વેજલપુર વરસાદથી પ્રભાવિત થયા છે.
રાજકોટમાં જળબંબાકાર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 30 કલાકમાં રાજકોટમાં 17 ઈંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે તંત્ર દ્રારા એલર્ટ જાહેર કરવામાં આવ્યુ. એક હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા. ભારે વરસાદ થતા શહેરના 3 વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયા છે. ગોંડલના પાટીયાળી પાસે મોતીસર ડેમ ઓવરફ્લો થયો છે. પાણીની આવક થતા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. અમદાવાદ-રાજકોટ હાઇવે પર 4 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. રાજકોટની આજી નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે. રામનાથ મહાદેવ મંદિરની આજુબાજુથી આજી નદી વહી રહી છે. રાજકોટમા પડધરીના નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા એનડીઆરએફ, રાજકોટ એસ.આર.પી ટીમ પહોંચી હતી. PSI, પડધરી મામલતદાર સહીત અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી અત્યાર સુધીમાં 450થી વધુ લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. કંટ્રોલ વિભાગમાં સંપર્ક કરવા લોકોને વિનંતી કરી છે.
જામનગરમાં 20 લોકોનું રેસ્ક્યું
જામનગરની જીવાદોરી એવો આજી ડેમ ઓવરફ્લો થયો છે. જેના પગલે ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. જોકે ડેમમાંથી પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના બાભંલા, જામસર, રણજિતપર સહિતના ગામોને અલર્ટ કરાયા હતા. જેથી કરીને લોકો નદીકાંઠાથી દૂર રહે. કેટલાક વિસ્તારો તો બેટમાં ફેરવાયા છે. તો ભારે વરસાદના પગલે 20 જેટલા લોકો પુરના પાણીમાં ફસાઈ ગયા હતા. જેમનું વાયુસેના દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
ભાવનગરમાં પણ મોટા ભાગની શાળાઓમાં રજા
ભાવનગર જિલ્લામાં અને શહેરમાં ભારે વરસાદ થયો છે. ત્યાર બાદ ભાવનગરની મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આચાર્યોએ પણ જાતે જ શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે.
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
સરદાર સરોવર ડેમની જળસપાટી પણ સતત વધી રહી છે. નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ડેમની જળ સપાટી ઉત્તરો ઉત્તર વધી રહી છે. જેના પગલે નર્મદા બંધની સેફટીને લઈને NCA દ્વારા ડેમને 131 મીટર સુધી ભરવાની પરવાનગી અપાઈ છે. ગત રોજ ડેમની સપાટી 131.20 મીટરે પહોંચી ગઈ હતી. જેના કારણે રાત્રી દરમિયાન ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જ્યારે શુક્રવારે 26 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી 6 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે નદી કાંઠાના 25થી વધુ ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યા હતા.
ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થઈ. હાલ ડેમમાં પાણીની આવક 2 લાખ 2 હજાર 96 ક્યુસેક્સ થઈ છે. ત્યારે ડેમની હાલની સપાટી 131.45 મીટર સુધી પહોંચી. આથી સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવશે. ડેમમાંથી આશરે 3 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડાશે. પાણીની જાવક 44 હજાર 408 ક્યુસેક પર પહોંચી.
તાપી નદી બે કાંઠે
હાલ ઉકાઈ ડેમમાંથી ૧ લાખ ૮૮ હજાર ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઈ તાપી નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે. તો તાપી નદી બે કાંઠે થતા નદી પરના કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે.
કચ્છમાં વરસાદની મહેર અને કહેર
કચ્છ અને ભુજમાં મેઘરાજાએ વરસાદી રમઝટ ઝમાવી છે. ભુજમાં રાત્રિથી સવાર દરમિયાન અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. શહેરની શાન સમાં હમીરસર તળાવમાં નવા નીર આવ્યા છે. ભુજના લોકો વરસાદની મજા માળી રહ્યા છે.
કચ્છના 11 ડેમ ઓવરફ્લો
કચ્છમાં ભારે વરસાદથી નાની સિંચાઇના 11 ડેમ ઓવરફ્લો થયા છે. નાની સિંચાઇના 170 ડેમમાંથી 83 ડેમમાં નવા નીરની આવક થઇ છે. ત્યારે અબડાસાનો મધ્યમ સિંચાઈનો મીઠો ડેમ 85 ટકા ભરાયો છે. લખપતનો સાનધ્રો ડેમની ક્ષમતાથી 75 ટકા પાણીનો જળસંગ્રહ થયો છે.
સામખીયારી ગામનું તળાવ તૂટતા પાણી ફરી વળ્યાં
કચ્છમાં સામખિયાળી ગામનું તળાવ તૂટતા બહાર જતો માર્ગ બંધ થયો છે. સામખિયાળી ટોલ નાકા પાસેનો માર્ગ નદીમાં ફેરવાયો. પૂર્વ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા. વરસાદી પાણી રસ્તાં પર ધસી આવતાં અન્ય રસ્તાઓ બંધ થયા છે. તમામ રસ્તાઓ પર વાહન વ્યવહાર અટકાતા હાલાકી સર્જાઇ છે.
ખેડા જિલ્લામાં 380 લોકોનું સ્થળાંતર
ખેડા જિલ્લામાં અત્યાર સુધી 380 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઠાસરા, કઠલાલ, મહુધા અને ગળતેશ્વર તાલુકામાં પુરની પરિસ્થિતિ સર્જાઇ છે. સાથે ડાકોરમાં શેઢી નદી, ગોમતી નદીમાં પુરની સ્થિતિ છે. નડિયાદના પ્રગતિનગરમાં ઇમારત ધરાશાઇ થતા 4ના મોત થયા છે. ખેડામાં ભારે પવનના કારણે 82 વૃક્ષો ધરાશાયી થયા છે. વન વિભાગે રસ્તા પર પડેલા વૃક્ષો હટાવી રસ્તાઓ ખુલ્લા કર્યા છે. ડોકરામાં નીચાણવાળા વિસ્તારમાં પાણીમાં ગરકાવ થયા છે.