ભરૂચમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેથી જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. પૂરની પરિસ્થિતિ સર્જાતા NDRFની ટીમ પણ તૈનાત થઈ છે. ત્યારે હવામાન વિભાગ મુજબ આગામી 2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત છે. ત્યારે ભરૂચમાં જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ભરૂચમાં મકાનની દિવાલ પડી જતા 3 બાળકોના મોત નિપજ્યા છે. વાગરા તાલુકાના નાડીદા ગામમાં કાચુ મકાન ધરાશાયી થઇ ગયું હતું.ત્યારે મકાનના કાટમાળ નીચે 3 બાળકો સહિત 5 લોકો દટાઇ ગયા હતા. જેમાં 2 ઇજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો હાંસોટમાં 952, આમોદમાં 241, જંબુસરમાં 250 લોકોનું સ્થાળાંતર કરાયું છે. તો NDRFએ અત્યાર સુધી જિલ્લામાંથી 1442 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. જ્યારે કાંકરિયા, જૂના વાડિયા, જૂના દાદાપોર વિસ્તારમાં પાણી ભરાયા છે.
વરસાદના કારણે કોબલા, પૂરસા, માનસિંગ પુરા ગામ બેટમાં ફેરવાયુ છે. તંત્રની મદદથી અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાચા હાલાકી થઈ રહી છે. SP સહિતના અધિકારીઓ કામગીરીમાં જોડાયા છે.
ત્યારે હવામાન વિભાગ મુજબ આગામી 2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત, મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે જેની અસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે.
જ્યારે ભરૂચ જીલ્લમાં ભારે વરસાદ થતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાયા છે. ભરૂચ-જંબુસર માર્ગ પાસે ખેતરોમાં પાણી થતા ખેડૂતોને નુકસાન થયુ છે. વરસાદના કારણે હજી સુધી અનેક વિસ્તારમાં પાણી ભરાતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે.