તૌકતે વાવાઝોડા વાવાઝોડાએ ગુજરાત આખું ધમરોળી નાંખ્યું છે જેમાં 24 જ કલાકમાં 247 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.
તૌકતે વાવાઝોડાની રાજ્યભરમાં અસર
24 કલાકમાં 247 તાલુકાઓમાં વરસાદ
30 તાલુકાઓમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ
છેલ્લા 24 કલાકમાં 247 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
તૌકતે વાવાઝોડાથી રાજ્યભરમાં વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં 247 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ખેડાના નડિયાદમાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે ગીર ગઢડા અને ઉનામાં 8-8 ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગરમાં 7 ઇંચ, ખેડાના મહુધામાં 7 ઇંચ વરસાદ પડ્યો. આણંદ સમગ્ર જિલ્લામાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે 30 જેટલા તાલુકાઓમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ અને 40 તાલુકાઓમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.
મહૂવામાં મહાવિનાશ!
તૌકતે વાવાઝોડાનું રાજ્યમાં જે સ્થળોએ સૌથી વધારે સંકટ હતું તેમાં ભાવનગર જિલ્લાનું મહૂવા પણ હતું. મહૂવા શહેરની સાથે સાથે તેના ગામડાઓમાં તૌકતેએ મોટો વિનાશ વેર્યો છે. ભારે પવન સાથે સતત વરસાદ અને 120 કિલોમીટરથી વધુ ઝડપે ફૂંકાઈ રહેલા પવનથી કેટલાય હોડિંગ્સ, વૃક્ષો ધરાશાયી થઈ ગયા.
વાવાઝોડાથી રાજ્યમાં 19 લોકોના મોત
બે દિવસ સુધી તૌકતે વાવાઝોડાએ આખા ગુજરાતને ઘમરોળ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. સૌરાષ્ટ્રમાં ખેતીમાં પણ ખૂબ નુકસાન થયું છે જ્યારે અમદાવાદ સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સંપત્તિનું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતમાં વાવાઝોડાના કારણે 19 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે અમુક લોકો લાપતા હોવાના સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.
ગુજરાતમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ
વાવાઝોડાના કારણે ગુજરાતમાં પશુઓના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ગુજરાતભરમાં 60 હજારથી વધારે વૃક્ષો તથા 70 હજારથી વધારે વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા. 16 હજારથી વધારે કાચા-પાકા મકાનો પણ પડી ગયા. 200થી વધારે રોડને નુકસાન થયું જ્યારે 200થી વધારે ટ્રાન્સફોર્મર પણ ખોટકાઈ ગયા હતા.