ભારે વરસાદના કારણે ગુજરાતમાં મીઠાના ઉત્પાદનમાં ૪૦ ટકા જેવો તોતિંગ ઘટાડો થવાની ભીતિ છે.
ગુજરાત દેશનું લગભગ 80 ટકાથી વધારે મીઠું પકવે છે. દર વર્ષે સરેરાશ 285 લાખ ટન મીઠું પકવતા ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે મીઠાના ઉત્પાદન ને ગંભીર ફટકો પડશે.
કચ્છ, જામનગર, ભાવનગર, અમરેલી અને કચ્છના નાના રણમાં મીઠાનું મહત્તમ ઉત્પાદન
ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ ભરત રાવલે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં મીઠું પકવતા તમામ પાંચ રિજયનમાં ભારે વરસાદના કારણે મીઠાનું ઉત્પાદન ઘટશે. ગુજરાતમાં કચ્છ, જામનગર, ભાવનગર, અમરેલી અને કચ્છના નાના રણમાં મીઠાનું મહત્તમ ઉત્પાદન થાય છે. આ વખતે પાંચેય વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ હોવાથી મીઠાના ઉત્પાદન ની પ્રક્રિયા ખોરવાઈ છે અને જાન્યુઆરી મહિના અગાઉ ઉત્પાદન સામાન્ય થવાની શક્યતા નથી."
છેલ્લાં એક દાયકામાં મીઠાના ઉત્પાદનમાં આ વર્ષે સૌથી મોટો ઘટાડો થશે.
તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે નવેમ્બર મહિના સુધી વરસાદના રાઉન્ડ ચાલુ રહ્યા હોવાથી મીઠાના ઉત્પાદનમાં સામાન્ય ઘટાડો થયો હતો ઉપરાંત માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં lockdown ના કારણે મીઠાના ઉત્પાદનને વિપરીત અસર થઇ હતી હાલમાં ભારે વરસાદના કારણે એવો અંદાજ છે કે આ વર્ષે ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન ૪૦ ટકાથી વધારે ઘટશે. છેલ્લાં એક દાયકામાં મીઠાના ઉત્પાદનમાં આ વર્ષે સૌથી મોટો ઘટાડો થશે.
ખાવાના ઉપયોગમાં લેવાતા મીઠાની કોઈ અછત થવાની શક્યતા નથી
જોકે ભારતમાં ખાવાના ઉપયોગમાં લેવાતા મીઠાની કોઈ અછત થવાની શક્યતા નથી. એસોસિએશનના મતે, ભારતમાં દર વર્ષે કુલ ૩૬૦ લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે અને તેમાંથી ૯૦ લાખ ટન મીઠાનો ઉપયોગ ખાદ્ય હેતુ માટે થાય છે. લગભગ ૧૦૦ લાખ ટન મીઠું ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટે વપરાય છે અને સો લાખ ટન મીઠાની નિકાસ થાય છે.
સરકારે પ્રતિ એકર રૂપિયા ૩૦,૦૦૦ની સહાય જાહેર કરવી જોઇએ
મીઠાના ઉત્પાદનમાં સંભવિત ઘટાડા ના કારણે નાના ઉત્પાદકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે એમ જણાવીને ભરત રાવલ માંગ કરી હતી કે સરકારે મીઠાંના અગરનો જે વિસ્તાર હોય તેમાં પ્રતિ એકર રૂપિયા ૩૦,૦૦૦ની સહાય જાહેર કરવી જોઇએ.