અમદાવાદમાં એક કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. નિકોલ, નરોડા, હાટકેશ્વર અને ઓઢવમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે ઓઢવ અને નરોડા વિસ્તારમાં પાણી ભરાયા છે.
ઉલ્લેખનીય છે કે, આ તરફ છોટાલાલની ચાલી પાસે BRTS ટ્રેક અને રોડ પર પાણી ભરાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે તો હાટકેશ્વર બેટમાં ફેરવાયું હતું અને મણીનગર ગોરના કુવા વિસ્તારમાં અને CTM જામફળવાડી વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ વટવાના પુનિતનગર રેલવે ફાટક પાસે પણ પાણી ભરાયાના સમાચાર પ્રાપ્ત થયાં છે.
મોડી રાતે મેઘરાજાએ બે જ કલાકમાં ધમાકેદાર બેટિંગ કરતા ઠેર ઠેર પાણી ભરાયાની અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર તથા પશ્ચિમમાં કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા.
આપને જણાવી દઇએ કે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજા મન મુકીન વરસ્યા હતા. શહેરના પૂર્વ વિસ્તારના ચકુડીયા, ઓઢવ, વિરાટનગર, નરોડા, દાણીલીમડા, મેમલો, નિકોલ, કાલુપુર, મણીનગર, વટવા અને નારોલમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
આ તરફ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ ન્યુ રાણીપ, રાણીપ, ચાંદખેડામાં મેઘહેર જોવા મળી છે. આ સિવાય પાલડી, એસજી હાઈવે, સરખેજ, ગોતા, ઉસ્માનપુરા, નારણપુરા, ઘાટલોડિયા, વાડજ જેવા તમામ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.
રાજ્યમાં પૂર જેવી સ્થિતિ
રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાયો છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે વરસાદથી પ્રભાવિત તંત્રએ સરાહનીય કામગીરી કરી છે. 4 જિલ્લામાંથી 2 હજાર 649 લોકોનું સ્થળાંતરણ કરાયું છે. તો વલસાડમાં 987 લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યુ છે.
જ્યારે સુરતના ઓલપાડમાંથી 1 હજાર 261 લોકોનું સ્થળાંતરણ કરાયુ છે. આ ઉપરાંત આણંદના ખંભાતમાંથી 110 લોકોનું સ્થળાંતરણ કરાયું છે. તો ભરૂચના અસરમા ગામમાંથી 91 લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યુ છે. જ્યારે વડોદરાના મજૂર ગામડી વિસ્તારમાં 200 લોકોનું સ્થળાંતરણ કરાયુ છે. તંત્ર દ્વારા તમામ લોકોને સલામત સ્થળો પર રાખવામાં આવ્યા છે.